- અનિવાર્ય કે તાકીદની વહીવટી જરૂરિયાત સમયે તરત જ બદલી કરી શકાશે
- જે તે ખાતાના વડાની બદલીઓની મૂળ સત્તા યથાવત રહેશે
- બદલીઓ જે તે ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે
- બદલી કરતા પહેલા સંબંધિત જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારી સાથે જરૂરી સંકલન કરવું ફરજિયાત
ગાંધીનગરઃ રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માત્ર મહેસૂલ વિભાગ હસ્તકની તમામ જિલ્લા-તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ-3ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરોને સોંપાઈ છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સુદ્રઢ બનાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં જિલ્લા કક્ષાએ મહેસૂલી તંત્રનું સંપૂર્ણ દેખરેખ અને સંકલન કલેક્ટર દ્વારા કરવામાં આવતું હોય છે. ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાથી અરજદારોને મુશ્કેલીઓ પડતી હોય છે.રાજ્ય સરકારની વિચારણાના અંતે હવે કલેક્ટરોને અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં બદલીની સત્તાઓ સોંપતો નિર્ણય કરવામાં આવ્યો છે.
અગાઉ કલેક્ટરને નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટીઓની બદલી કરવાની સત્તા હતી. હવે આ નિર્ણયના પરિણામે કલેક્ટરો મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ-3 ના કર્મચારીઓ જેવા કે, સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1, સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકૂન વગેરેની જિલ્લા પૂરતી બદલી કરી શકશે.
આ બદલીઓ જે તે ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે. ઉદાહરણ તરીકે સેટલમેન્ટ કમિશનર તાબા હેઠળના સર્વેયરની બદલી તેમની જ કચેરીમાં થશે, નોંધણી સર નિરીક્ષક કે સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં કરી શકાશે નહીં. કલેક્ટર દ્વારા બદલી કરતી વખતે સંબંધિત જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારીશ્રી સાથે જરૂરી સંકલન કરવાનું રહેશે, જેથી કચેરીઓની રોજબરોજની કામગીરી ખોરવાય નહીં.
આ બદલીઓ કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગ તથા મહેસૂલ વિભાગના પ્રવર્તમાન બદલી નિયમો અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ નિર્ણયથી જિલ્લા કક્ષાએ વહીવટી નિર્ણયો ઝડપી બનશે. કોઈ ચોક્કસ કચેરી કે તાલુકામાં અરજીઓનો નિકાલ બાકી હોય કે અચાનક કામનું ભારણ વધે ત્યારે કલેક્ટર તુરંત કર્મચારીઓની આંતરિક બદલી કરીને કામગીરીને વેગ આપી શકશે.