ગાંધીનગર: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં નેશનલ હાઈવે- 47 ના અમદાવાદ-ગોધરા સેક્શનના આધુનિકીકરણ, અપગ્રેડેશન અને જાળવણી માટે બે મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. આ પહેલથી ટ્રાફિકનું ભારણ ઘટશે, માર્ગ સલામતી વધશે અને વાહનચાલકોની મુસાફરી વધુ સરળ બનશે તેવી અપેક્ષા છે.
પ્રથમ પ્રોજેક્ટ હેઠળ, NHAI 45 કિમી લાંબા ફોર-લેન અમદાવાદ-ગોધરા હાઈવે સેક્શનના અપગ્રેડેશન માટે બિડ મંગાવી છે. આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે.
જેનો અંદાજિત ખર્ચ ₹363.05 કરોડ છે અને પૂર્ણ થવાનો સમયગાળો 2 વર્ષ છે. પસંદ કરેલી એજન્સીએ કામ પૂર્ણ થયા પછી 10 વર્ષ સુધી જાળવણી કરવાની રહેશે. આ માટે બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 2 ફેબ્રુઆરી, 2026 છે.
ઉપરાંત 04.200 કિમીથી 122.420 કિમી સુધીના કુલ 118.220 કિમી લાંબા હાઈવે સેક્શન પર વાર્ષિક જાળવણી અને સુરક્ષા સંબંધિત સેવાઓ માટે અલગ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જનો અંદાજિત ખર્ચ ₹28.28 કરોડ રૂપિયા છે. કરારનો સયગાળો એક વર્ષ છે. જેમાં મુસાફરોની સુરક્ષા માટે પેટ્રોલિંગ વાહનો, એમ્બ્યુલન્સ અને ટો-અવે ક્રેન્સની 24 કલાક તૈનાત કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ્સ દ્વારા NHAI નો ઉદ્દેશ અમદાવાદ અને ગોધરા વચ્ચે મુસાફરી કરતા હજારો વાહનચાલકો માટે ખાડા-મુક્ત રસ્તાઓ, બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કટોકટીના સમયે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો છે.