વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં હતા દાખલ

05:07 PM Jun 02, 2026 | gujaratpost

વડોદરા: ભાજપના સિનિયર નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું મંગળવારે 83 વર્ષની વયે હૃદય રોગની લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ બે દિવસ પહેલા વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

સમર્થકોમાં તેઓ કાકા તરીકે જાણીતા હતા, યોગેશ પટેલ વડોદરાના સૌથી પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓમાંના એક હતા. તેમણે સતત 8 વખત વિધાનસભા ચૂંટણી જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે સૌપ્રથમ રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં પોતાનું રાજકીય વર્ચસ્વ સ્થાપિત કર્યું હતુ અને સીમાંકન પછી માંજલપુર મતવિસ્તારમાંથી પોતાનો વિજયનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ માંજલપુરથી ફરીથી ચૂંટાયા હતા.

પટેલને ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્યોમાંના એક ગણવામાં આવતા હતા, સ્વ. વિજય રૂપાણીની આગેવાની હેઠળની સરકારમાં રાજ્યના નર્મદા વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વડોદરા અને મધ્ય ગુજરાતમાં વિકાસ પ્રોજેક્ટ્સને વેગ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

રાજકારણ ઉપરાંત પટેલ વડોદરાના સાંસ્કૃતિક અને સામાજિક જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમણે નવરાત્રી અને ગણેશોત્સવ જેવા પરંપરાગત તહેવારોને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, શહેરના પ્રતિષ્ઠિત શિવજી કી સવારી શોભાયાત્રાને મહત્વ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારમાં જન્મેલા યોગેશ પટેલે સામાજિક કાર્યો અને વિદ્યાર્થી ચળવળો દ્વારા તેમના જાહેર જીવનની શરૂઆત કરી. બાદમાં વડોદરા વિકાસ મંચ જેવા સંગઠનોની સ્થાપના કર્યા પછી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડ્યાં હતા.1990 માં જનતા દળની ટિકિટ પર રાવપુરાથી તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી હતી. તેઓ 1995 માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા અને વડોદરામાં પાર્ટીના સૌથી મજબૂત નેતાઓમાંના એક બન્યાં હતા.

પટેલના અવસાન સાથે, ગુજરાત વિધાનસભાએ ફરી એકવાર તેમના સૌથી વરિષ્ઠ સભ્ય ગુમાવ્યાં છે. આ વર્ષની શરૂઆતમાં 6 માર્ચે ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન પછી ઉમરેઠ વિધાનસભા બેઠક ખાલી પડી હતી, ત્યાર બાદ તેમના પુત્ર દ્વારા પેટાચૂંટણી જીત્યા હતા અને હવે વિધાનસભા ફરીથી ખંડિત થઇ છે.