જમ્મુ-કાશ્મીરઃ શનિવારે સુરનકોટ વિસ્તારમાં એરફોર્સના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં ચાર આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા છે, જેમણે આ હુમલો કર્યો હતો. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ અબુ હમઝા હોવાનું કહેવાય છે, જે સરહદી જિલ્લા રાજૌરી-પૂંછમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યો છે.
જો કે, હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સુરક્ષા દળો 20 કિલોમીટરના વિસ્તારને ઘેરીને આતંકીઓને શોધી રહ્યાં છે. સર્ચ ઓપરેશનમાં હેલિકોપ્ટર, ડ્રોન, ડોગ સ્ક્વોડ અને પેરા કમાન્ડોનો ઉપયોગ થઇ રહ્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે AK એસોલ્ટ રાઈફલ્સ ઉપરાંત, આતંકવાદીઓએ વધારે જાનહાનિ કરવા માટે યુએસ નિર્મિત M4 કાર્બાઈન્સ અને સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો હતો. હુમલા બાદ હુમલાખોરો ભાગીને જંગલમાં છુપાઈ ગયા છે, જમ્મુ KIGP આનંદ જૈન અને સેના અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓને મારવા માટે શાહસિતાર, ગુરસાઈ, સનાઈ અને શેન્દરા ટોપ સહિત ઘણા વિસ્તારોમાં સેના અને પોલીસનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. પુંછના સરહદી જિલ્લા તેમજ નજીકના રાજૌરીમાં છેલ્લા બે વર્ષમાં આ મોટો આતંકવાદી હુમલો છે. જેમાં એક સૈનિક શહીદ થયા છે અને ત્રણ ઘાયલ થયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526