ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી

11:43 AM Jun 13, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે સાંજે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે ફોન પર વાત કરી અને ગલ્ફ ક્ષેત્રમાં યુએસ નેવીના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત અંગે ભારતનો કડક વિરોધ નોંધાવ્યો હતો.

જયશંકરે X પર લખ્યું, મેં આજે સાંજે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે વાત કરી. મેં ગલ્ફમાં યુએસ નેવીના હુમલા અંગે ભારતના કડક વિરોધનો પુનરોચ્ચાર કર્યો જેમાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા. વાણિજ્યિક જહાજો સામે આવી ઘાતક કાર્યવાહી વાજબી નથી.

વિદેશ મંત્રાલયનું નિવેદન

Trending :

વિદેશ મંત્રાલયના અધિક સચિવ (અમેરિકા) નાગરાજ નાયડુએ યુએસ દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન અને ચાર્જ ડી અફેર્સ જેસન મીક્સને જવાહરલાલ નેહરુ ભવન બોલાવ્યા અને હુમલાઓ અંગે કડક વિરોધ નોંધાવ્યો હતો.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારતીય ખલાસીઓના જીવનને જોખમમાં મૂકતા આવા હુમલાઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને માંગણી કરી કે પ્રાદેશિક તણાવ વચ્ચે વાણિજ્યિક જહાજોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે. બુધવારે રાત્રે મીક્સને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

ઓમાનના દરિયાકાંઠે એક કોમર્શિયલ ટેન્કર પર હુમલો થયો હતો. તેમાં 24 ભારતીય ખલાસીઓ હતા. 21 ને બચાવી લેવામાં આવ્યાં હતા, જ્યારે ત્રણના મોત થયા હતા. મૃતકોમાં ડેક કેડેટ આદિત્ય શર્મા, ફિટર શિવાનંદ ચૌરસિયા અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશનો સમાવેશ થાય છે.

આ પહેલા, 8 જૂને મેરીવેક્સ અને 11 જૂને જલવીર જહાજો પર પણ હુમલા થયા હતા. આ બે ઘટનાઓમાં 40 થી વધુ ભારતીય ખલાસીઓ જોખમમાં મુકાયા હતા.