Fact Check:પહેલગામ હુમલા પછી ભારતમાં ઉત્તરી આર્મી કમાન્ડરને હટાવવામાં નથી આવ્યાં, પાકિસ્તાનીઓનો ખોટો દાવો વાયરલ

09:44 PM May 01, 2025 | gujaratpost

Gujaratpost Fact Check: પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં લોકોનો ધર્મ પૂછીને નરસંહાર કર્યો હતો. જેમાં 26 લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી. જેની સામે ભારતે આતંકવાદીઓ અને તેમના આકાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે યુદ્ધના માહોલ વચ્ચે સોશિયલ મીડિયામાં નકલી સમાચાર વાયરલ થઈ રહ્યાં છે. પાકિસ્તાન સમર્થિત ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ દાવો કરી રહ્યાં છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના વડાને પદ પરથી દૂર કરવામાં આવ્યાં છે. પરંતુ પાકિસ્તાનીઓનો આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે.

શું વાયરલ થઈ રહ્યું છે ?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાકિસ્તાન તરફી તત્વો દાવો કરી રહ્યાં છે કે પહેલગામમાં થયેલા હુમલા દરમિયાન ગુપ્તચર નિષ્ફળતાને કારણે ભારતે સેનાના ઉત્તરી કમાન્ડના વડાને હટાવી દીધા છે. તૈમુર મલિક નામના યુઝરે X પર લખ્યું - ગુપ્તચર નિષ્ફળતા પછી ભારતે ઉત્તરી કમાન્ડના વડાને હટાવ્યાં. મોટી ગુપ્તચર નિષ્ફળતા બાદ, ભારતીય સેનાના કમાન્ડમાં મોટા ફેરફાર, ભારતે ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ સુચિન્દ્ર કુમારને બરતરફ કરી નાખ્યાં છે. ઉતાવળમાં લેવાયેલા પગલામાં,વર્તમાન ડીસીઓએએસ (સ્ટ્રેટેજી) લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્માને દિલ્હીથી હવાઇ જહાજ દ્વારા કાર્યભાર સંભાળવા માટે બોલાવવામાં આવ્યાં છે.

ગુજરાત પોસ્ટ ન્યૂઝની તપાસ

સોશિયલ મીડિયા પર ઘણા હેન્ડલ આ દાવો શેર કરી રહ્યાં હતા. આવી સ્થિતિમાં અમે આ દાવાની તપાસ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ, અમે ગુગલ ઓપન સર્ચની મદદ લીધી અને શોધ કરી કે શું સરકારે ઉત્તરી કમાન્ડના વડાને દૂર કર્યા છે. અમને એવો કોઈ સમાચાર મળ્યાં નહી, સાથે જ અમે ભારતના મોટા ન્યૂઝ પેપરમાં પણ સમાચારો શોધ્યાં તો અમને આ વાત ખોટી હોવાનું માલૂમ પડ્યું.

હવે અમે સોશિયલ મીડિયા પર જ આ વિશે શોધ કરી. આમ કરતાં, અમને PIB તરફથી એક ટ્વિટ મળ્યું. આ ટ્વિટમાં વાયરલ થઈ રહેલા સમાચારનું સંપૂર્ણપણે ખંડન કરવામાં આવ્યું છે. PIB એ લખ્યું - સોશિયલ મીડિયા પર પાકિસ્તાન તરફી એકાઉન્ટ્સે ખોટો દાવો કર્યો છે કે પહેલગામ હત્યાકાંડ પછી ઉત્તરી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સુચિન્દ્ર કુમારને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યાં છે. જ્યારે લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમાર 30 એપ્રિલે નિવૃત્ત થઇ રહ્યાં છે.  

અમારી તપાસમાં શું બહાર આવ્યું ?

ગુજરાત પોસ્ટ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે પહેલગામ હુમલા પછી ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ સુચિન્દ્ર કુમારને બરતરફ કરવાનો વાયરલ દાવો સંપૂર્ણપણે ખોટો છે. લોકોને આવી કોઈ પણ પોસ્ટથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++