છત્તીસગઢઃ વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 10 મજૂરોનાં મોત

06:50 PM Apr 14, 2026 | gujaratpost

રાયપુરઃ છત્તીસગઢના સક્તિ જિલ્લામાં આવેલ વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્લાન્ટમાં કામકાજ દરમિયાન અચાનક બોઈલર ફાટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 10 મજૂરોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યાં છે.

પ્રાથમિક તપાસ મુજબ, બોઈલરની ટ્યુબ ફાટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર, પ્લાન્ટ સ્થળ પર જ 4 મજૂરોના મોત નીપજ્યા હતા. અંદાજે 30 થી 40 જેટલા મજૂરો ગંભીર રીતે દાઝી ગયા છે. 15 ઘાયલોને રાયગઢની જિંદલ ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ 6 મજૂરોના મોત નિપજતા મૃત્યુઆંક વધ્યો છે.

અન્ય 11 ઈજાગ્રસ્તોને ખરસિયાની પદ્માવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો, ફાયર બ્રિગેડની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.