Team India Returns: ચેમ્પિયન ટીમ ઈન્ડિયા વતનમાં પરત ફરી, 11 વાગ્યે PM મોદી સાથે મુલાકાત

11:19 AM Jul 04, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ વતનમાં પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિશ્વ વિજેતા ટીમ માટે વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી જેથી કરીને રોહિત શર્માની સેના અને મીડિયાકર્મીઓ સ્વદેશ પરત ફરી શકે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) આજે સવારે ભારત પહોંચી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ, તેનો સપોર્ટ સ્ટાફ, બીસીસીઆઈના કેટલાક અધિકારીઓ અને ખેલાડીઓના પરિવારો હરિકેન બેરીલને કારણે બાર્બાડોસમાં ફસાયેલા હતા. ટીમે શનિવારે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી ચક્રવાતને કારણે ટીમ ત્યાં ફસાઇ ગઇ હતી.

ટીમ ઈન્ડિયા પરત ફરી

ફાઈનલ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ નિયમિત ફ્લાઈટ દ્વારા ભારત પરત આવવાની હતી, પરંતુ ચક્રવાતને કારણે બાર્બાડોસમાં સ્થિતિ ખરાબ હતી. તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને ખેલાડીઓ અને સ્ટાફ તેમની હોટલોમાં ફસાયેલા હતા. જે બાદ સરકાર દ્વારા એક વિશેષ વિમાન બાર્બાડોસ મોકલવામાં આવ્યું હતું.

દિલ્હી એરપોર્ટ પર ચાહકો એકઠા થયા હતા

ભારતીય ટીમના સ્વાગત માટે દિલ્હી એરપોર્ટની બહાર ચાહકોનો જમાવડો જોવા મળ્યો હતો. રોહિત શર્માની ટીમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યાં હતા. તેમની 17 વર્ષની રાહનો આજે અંત આવ્યો. ભારતે આ પહેલા 2007માં તત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

ભારતીય ટીમ સવારે 11 વાગ્યે પીએમને મળશે

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાના જણાવ્યાં અનુસાર ભારતીય ટીમ 11 વાગે વડાપ્રધાનને મળશે. આ પછી રોહિત શર્મા અને કંપની વિશેષ વિમાન દ્વારા મુંબઈ જવા રવાના થશે. તેમના સન્માનમાં અહીં વિજય પરેડનું આયોજન કરવામાં આવશે. ભારતીય ટીમને વાનખેડે સ્ટેડિયમમાં BCCI દ્વારા જાહેર કરાયેલ 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ પણ આપવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526