(લઠ્ઠાકાંડનો પીડિત)
- આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
- ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન આરોપીઓ માટે કેસ નહીં લડે
સુરતઃ ભાવનગરના ચકચારી નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસરો હવે સુરત સુધી પહોંચી છે. મૂળ ભાવનગરના અને હાલ સુરત આવેલા સંજયસિંહ ડોડિયા નામના યુવકની તબિયત ઝેરી દારૂના કારણે નાજુક બનતાં તેને સુરતની ખટોદરા સ્થિત હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો છે.
સંજયસિંહે ગત 16 તારીખની રાત્રે ભાવનગરમાં દારૂ પીધો હતો અને 17 તારીખે સવારે સુરત પહોંચ્યાં બાદ તેની આંખો બંધ થઈ ગઈ હતી, વરાછાની ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેક આવ્યાં બાદ સીપીઆર આપીને હૃદય ધબકતું કરાયું હતું, પરંતુ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં સ્થિતિ ગંભીર બની હતી.
મેડિકલ તપાસમાં ઇથેનોલ અને મિથેનોલ પોઇઝનિંગ હોવાનું સ્પષ્ટ થયું હતું. મગજ સુધી પૂરતો ઓક્સિજન ન પહોંચવા અને ન્યુરોલોજીકલ સ્થિતિ કથળવાને કારણે આઇએનએસ હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇન ડેડ ઘોષિત કર્યા છે. હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે અને પરિવારને જાણ કરી દેવાઈ છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 11 પર પહોંચ્યો છે, જ્યારે 40થી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. પોલીસે કુલ 21 આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર રઈશ અન્સારી સહિતના 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બુટલેગર ગૌતમ સોલંકી અને મધ્ય પ્રદેશના રઇશે ભેગા મળીને નકલી દારૂ બનાવ્યો હતો, જેમાં 51 પેટી તૈયાર કરીને ગૌતમ અને તેના સાળાએ બનાવીને વેચ્યો હતો. બીજી વખત દારૂ બનાવ્યો ત્યારે ખૂબ જ ખરાબ દારૂ બન્યો હતો. જેથી આરોપી જતિને ઇથેનોલ અને મિથેનોલના મિશ્રણ વાળો દારૂ ભાલના પાળીયાદ ગામે નાશ કર્યો હતો.