અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને તેને જોડતા રસ્તાઓ પર વધતી ગંદકીને રોકવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં હવેથી પક્ષીઓને ચણ નાખવા (બર્ડ ફીડિંગ) કે પ્રાણીઓને ખોરાક આપવા (એનિમલ ફીડિંગ) પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર સ્થળોએ ગંદકી અટકાવવા માટે 10 સભ્યોની એક વિશેષ ટાસ્કફોર્સ બનાવવામાં આવી છે. આ ટીમમાં રિવરફ્રન્ટના અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરાયો છે. આ ટીમ સતત પેટ્રોલિંગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે એનફોર્સમેન્ટની કામગીરી કરશે.
કોર્પોરેશન દ્વારા વર્ષ 2013 થી અમલી બનેલા હેલ્થ બાયલોઝ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં પક્ષી કે પશુઓને ફીડિંગ કરાવનાર સામે રૂપિયા 100 ની પેનલ્ટી ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા જાહેરમાં ગંદકી કરશે, તો સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પેનલ્ટી કે વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે.
તંત્ર દ્વારા આગામી સમયમાં શહેરભરના જાહેર સ્થળોએ તબક્કાવાર આ પ્રતિબંધ અમલી બનાવવાનું આયોજન છે. રખડતા ઢોર પર પ્રતિબંધ બાદ હવે ડોગ ફીડિંગ (કૂતરાઓને ખોરાક આપવા) પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોર્પોરેશન પહેલા શહેરમાં ડોગ ફીડિંગ સ્પોટ આઈડેન્ટીફાય કરશે અને ત્યારબાદ જાહેર સ્થળોએ ખોરાક આપવા પર પ્રતિબંધ અંગે નોટિસ પાઠવશે.
કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરમાં બર્ડ ફીડિંગ સ્પોટની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે જાહેર માર્ગો અને પ્રોજેક્ટ વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે. હેલ્થ બાયલોઝ હોવા છતાં અત્યાર સુધી અસરકારક અમલવારી થતી ન હતી, જે હવે ટાસ્કફોર્સની રચના સાથે કડક બનાવવામાં આવશે.