પાણીના એક એક ટીપા માટે તરસશે પાકિસ્તાન, સિંધુ બાદ ચિનાબ નદી પરના ડેમનો જળ પ્રવાહ રોકી દેવાયો- Gujarat Post

06:28 PM May 04, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દુશ્મન દેશ પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી કરી રહ્યું છે. પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કર્યા પછી ભારતે ચિનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કરી દીધો છે. ભારત હવે ઝેલમ નદી પરના કિશનગંગા ડેમ પર પણ આવી જ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે.

ભારતે ચિનાબ નદી પર આવેલો ડેમ બંધ કરી દીધો છે. સિંધુ જળ ભારતે ચિનાબ નદી પર બનેલા બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા છે. જેના કારણે પાકિસ્તાન તરફ વહેતા ચિનાબ નદીના પાણીમાં ભારે ઘટાડો થયો છે. ચિનાબ પરનો બગલીહાર ડેમ નદીના પ્રવાહમાં વહેતા હાઇડ્રો પાવર પ્લાન્ટ તરીકે બનાવવામાં આવ્યો હતો, સંધિ તોડ્યાના લગભગ 10 દિવસની અંદર ભારત સરકારે આ પગલું ભર્યું છે. તેનાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચિનાબ નદીમાંથી મળતા પાણીના પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે.

બગલીહાર ડેમ લાંબા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. પાકિસ્તાન ભૂતકાળમાં વિશ્વ બેંક પાસેથી મધ્યસ્થી માંગી ચૂક્યું છે. કિશનગંગા બંધને કાનૂની અને રાજદ્વારી ચકાસણીનો સામનો કરવો પડ્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. આ સિંધુ જળ સંધિ વિશ્વ બેંક દ્વારા કરવામાં આવી હતી.  

આ સંધિ પર 1960માં તત્કાલીન ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. બે પ્રતિકૂળ પડોશીઓ વચ્ચે શાંતિપૂર્ણ સહયોગના દુર્લભ ઉદાહરણ તરીકે તેની ઘણીવાર પ્રશંસા કરવામાં આવે છે. જો કે હવે આતંકને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાન સામે ભારતે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++