સુરતઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ, સુરતની ટીમે મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઝવેરી બજારમાં DGGI ની ટીમે મોટું ઓપરેશન કરીને મોટી કરચોરી ઝડપી લીધી છે.
અહી એક નાની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી કેટલીક મહત્વની સામગ્રી મળી આવી હતી, આ હિસાબો જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ પેઢીમાં 600 કરોડ રૂપિયાનો ધંધો થયો હતો અને અંદાજે 18 કરોડ રૂપિયાની કરચોરી કરવામાં આવી હતી, મોટા ભાગના પુરાવા પરથી સાબિત થાય છે કે ખુબ ઓછો ટેક્સભરીને અહીં ધંધો કરવામાં આવતો હતો.
એજન્સીએ યતિનકુમાર સુમતીલાલ શાહ પ્રોપ્રાઇટર ઓફ સુમિત સિલ્વર સામે આ કાર્યવાહી કરી છે. ત્રણ વર્ષમાં આ વેપારીએ 600 કરોડથી વધુના ચાંદીના બુલિયન અને ફિનિશ્ડ દાગીનાનો બિલ વગરનો માત્ર રોકડમાં વેપાર કર્યો હોવાનો ખુલાસો થયો છે.
DGGI એ આવી રીતે પાર પાડ્યું ઓપરેશન
DGGI ની ટીમ છેલ્લા ઘણા સમયથી આ વેપારી પર નજર રાખી રહી હતી અને કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ અને પુરાવા ભેગા કર્યાં હતા, જેને આધારે આ વેપારી પર નજર રાખવામાં આવી રહી હતી, તેના અન્ય વેપારીઓ સાથેના ધંધાકીય સંપર્કોની તપાસ કરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતુ કે આ ઝવેરીએ રોકડમાં કરોડો રૂપિયાનો ધંધો કરી નાખ્યો છે, જેને લઇને એજન્સીની ટીમે તૈયારી સાથે દરોડા કરીને યતિન શાહની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં અન્ય વેપારીઓ સામે પણ ગમે ત્યારે સકંજો કસાઇ શકે છે.