ગુજરાતમાં દિલ્હીની નિર્ભયા જેવી ઘટના, 6 વર્ષની બાળકી પર ક્રૂરતા આચરી, ગુપ્ત ભાગમાં સળિયો ઘુસાડ્યો

11:14 AM Dec 10, 2025 | gujaratpost

રાજકોટઃ જસદણના આટકોટમાં બનેલી ઘટનાએ દિલ્હીમાં થયેલી નિર્ભયાની ઘટનાની યાદ અપાવી દીધી છે. મૂળ દાહોદ જિલ્લાના ખેતમજૂર પરિવારની 6 વર્ષની બાળકી પર નરાધમે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે તે સફળ ન થયો, ત્યારે ક્રૂર માણસે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો હતો. ઘટના બાદ, બાળકીને સારવાર માટે રાજકોટની મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આટકોટ પોલીસે કેસ નોંધીને 100 લોકોની પૂછપરછ કરી હતી, ત્યારબાદ મુખ્ય આરોપીની ઓળખ કરીને ધરપકડ કરી છે.

દાહોદ જિલ્લાનો એક પરિવાર આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના એક ગામ પાસેના ખેતરમાં ખેતમજૂરી કરે છે. ગત 4 તારીખે, જ્યારે બાળકીના માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યાં હતા, તે સમયે તેમની છ વર્ષની પુત્રી ત્યાં રમી રહી હતી. તે દરમિયાન નરાધમે બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપીએ છોકરીનું ગળું દબાવીને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બાળકી ચીસો પાડવા લાગી, ત્યારે આરોપીએ ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો હતો. પરિણામે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ગુનો કર્યા પછી, આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.

પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરી, ત્યારે તે લોહીથી લથપથ હાલતમાં નજીકમાં મળી આવી હતી. તેની ગંભીર હાલત જોઈને, પરિવાર તાત્કાલિક તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં લઈ ગયો હતો. પીડિતા હાલ સારવાર હેઠળ છે. તેની હાલત સ્થિર છે.

પોલીસે આરોપીઓને શોધવા માટે 10 ટીમો બનાવી હતી. 100 શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવ્યાં બાદ 10 આરોપીઓને બાળ નિષ્ણાંત સાથે બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તેને મુખ્ય આરોપી, 35 વર્ષીય રામસિંહ તેરસિંગ દાદવેજરની ઓળખ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે. આ આરોપી પણ આટકોટમાં ખેતમજૂર તરીકે કામ કરે છે. આરોપી પરિણીત છે અને તેને એક પુત્રી અને બે પુત્રો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++