રાજકોટઃ શહેરમાં થયેલા અગ્નિકાંડમાં (rajkot trp game zone fire tragedy)બાળકો સહિત 28 લોકોનાં મોત થયા છે. ટીઆરપી ગેમ ઝોનનાં અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ કરતી સિટની ટીમે જણાવ્યું કે તેમની તપાસમાં મનપા અને ફાયર બ્રિગેડનાં અધિકારીઓની ગુનાહિત બેદરકારી હતી. દરમિયાન કરોડો રૂપિયાની સંપત્તિના માલિક ટીપીઓ મનસુખ સાગઠીયા અને મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આ કેસમાં ધરપકડ કરાયેલા મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાએ હવે એવો બચાવ કર્યો છે કે તેણે તેના વિભાગનાં તાબા હેઠળના અધિકારીઓને બાંધકામ તોડી પાડવા માટે સૂચના આપી હતી. પરંતુ તેમણે તેમ કર્યું ન હતું. સૂત્રોનું કહેવું છે કે જો તાબા હેઠળનાં અધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ નોટિસ આપ્યાં પછી પણ ન તોડયું હોય તો વિભાગનાં વડા તરીકે સાગઠીયાની બાંધકામ તોડી પાડવાની જવાબદારી હતી. આ રીતે અન્ય અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી સાગઠીયા બચી શકે નહીં. તેની આ ભૂમિકા ધ્યાને લઇ ધરપકડ કરવામાં આવી છે.
સાથે જ સાગઠીયાની કરોડો રૂપિયાની સંપત્તિને લઇને એસીબી તપાસ કરી રહી છે, તેના ભાઇના અને સંબંધીઓના નામે સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. બંગલો, ફાર્મ હાઉસ અને ઓફિસોની માહિતી એસીબીને મળી છે. જેની કિંમત કરોડો રૂપિયા થાય છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526