જૂનાગઢ: ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં નવો વિવાદ સર્જાયો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે સાધુ-સંતો માટે અનામત ગણાતા પવિત્ર મૃગીકુંડમાં ડૂબકી લગાવી અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું, આ ઘટના અંગે મહિલા પીઆઈએ કીર્તિ પટેલ વિરુદ્ધ સરકારી ફરજમાં રુકાવટ અને ગેરવર્તણૂક બદલ ફરિયાદ નોંધી છે.
મૃગીકુંડની ઘટના બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કરતા ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ સામે મોરચો માંડ્યો હતો. આરોપ લગાવ્યો કે, ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ મને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. હું તેમની સચ્ચાઈ પુરાવા સાથે જાહેર કરીશ. મારી સાથે બીજી યુવતીઓ પણ નાઈટ ડ્રેસમાં સ્નાન કરતી હતી, તો માત્ર મને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી?
તેણે વધુમાં જણાવ્યું કે તે હાલ વૈરાગી જીવન જીવી રહી છે અને ભવિષ્યમાં સંન્યાસ પણ લઈ શકે છે. તેણે જૂના વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યો છે કે અન્ય લોકો સ્નાન કરે ત્યારે વિવાદ કેમ નથી થતો ?
જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ સમગ્ર મામલાની ગંભીરતા જોઈને તટસ્થ તપાસના આદેશ આપ્યાં છે. મહિલા પોલીસ અધિકારી સાથેની ગેરવર્તણૂંક અને સરકારી કામમાં દખલગીરી બદલ હવે કીર્તિ પટેલ સામે કાયદાકીય ગાળિયો કસાયો છે.