પીએમ મોદીએ 123મી વખત કરી મન કી બાત, અમદાવાદનો ઉલ્લેખ કરી કહી આ વાત- Gujarat Post

06:46 PM Jun 29, 2025 | gujaratpost

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 123માં એપિસોડમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત કટોકટીના 50 વર્ષ પૂરા થવા પર પણ પોતાના વિચારો શેર કર્યા હતા. પીએમ મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાને કહ્યું કે, આ મહિને આપણે સૌએ 'વિશ્વ પર્યાવરણ દિવસ' ઉજવ્યો. મને તમારા હજારો સંદેશા મળ્યાં. ઘણા લોકોએ પોતાના આસપાસના એવા સાથીઓ વિશે જણાવ્યું જેઓ એકલા જ પર્યાવરણ બચાવવા નીકળી પડ્યાં હતા અને પછી તેમની સાથે આખો સમાજ જોડાઈ ગયો.

વડાપ્રધાને અમદાવાદમાં થયેલી પર્યાવરણ સંબંધિત સુંદર પહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમદાવાદમાં પર્યાવરણ માટે એક વધુ સુંદર પહેલ જોવા મળી છે. અહીં નગર નિગમે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કર્યું છે. તેનો લક્ષ્ય છે- લાખો વૃક્ષો વાવવા. આ અભિયાનની એક ખાસ વાત છે 'સિંદૂર વન'. આ વન ઓપરેશન સિંદૂરના વીરોને સમર્પિત છે.

તેમણે પર્યાવરણ સંરક્ષણ માટે વ્યક્તિગત પ્રયાસોનું ઉદાહરણ આપતા કહ્યું, પુણેના રમેશ ખરમાલેજીના કાર્યો જાણીને તમને ઘણી પ્રેરણા મળશે, જ્યારે સપ્તાહના અંતે લોકો આરામ કરે છે ત્યારે રમેશજી અને તેમનો પરિવાર કોદાળી અને પાવડો લઈને જુન્નરની ટેકરીઓ તરફ નીકળી પડે છે. ત્યાં તેઓ ઝાડીઓ સાફ કરે છે અને પાણી રોકવા માટે ખાડા ખોદે છે અને બીજ વાવે છે. તેમણે ઘણા નાના તળાવો બનાવ્યાં છે અને વૃક્ષો વાવ્યાં છે. તેઓ એક ઓક્સિજન પાર્ક પણ બનાવી રહ્યાં છે. તેનું પરિણામ એ આવ્યું છે કે હવે ત્યાં પક્ષીઓ પાછા ફરવા લાગ્યા છે અને વન્યજીવનને નવા શ્વાસ મળી રહ્યાં છે.