- ત્રણ વર્ષના સંબંધનો કરુણ અંજામ
- સંબંધમાં બંને પિતરાઈ ભાઈ-બહેન થતા હતા
- પરિવારે સંબંધમાં તણાવની આશંકા વ્યક્ત કરી
કાનપુરઃ શહેરના બર્રામાં કોર્ટ મેરેજ કરનારા દંપતીના રૂમમાંથી મૃતદેહ મળી આવતાં હડકંપ મચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, યુવકે પત્નીની ગળું દબાવીને હત્યા કરી, તેની માંગમાં સિંદૂર ભર્યું અને પછી પોતે ફાંસી પર લટકી ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
રૂમમાં પત્નીનો મૃતદેહ ભોંયતળિયેથી મળ્યો, જ્યારે યુવકનો મૃતદેહ પંખાથી લટકતો હતો. આ ઘટના બર્રા-7 ના એસએસ બ્લોકની છે, જ્યાં દંપતી થોડા દિવસો પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવકે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ પોતે આત્મઘાતી પગલું ભર્યું હતું. જોકે, મોતના સાચા કારણની જાણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ફોરેન્સિક ટીમે જ્યારે રૂમની તપાસ કરી તો ત્યાં જમીન પર સિંદૂર વેરાયેલું મળ્યું હતું. નજીકમાં સિંદૂરની ડબ્બી પણ પડી હતી. મહિલાની માંગ સિંદૂરથી ભરેલી હતી અને યુવકના હાથ-પગ પર પણ સિંદૂરના નિશાન મળ્યા હતા. પોલીસને આશંકા છે કે પત્નીની હત્યા કર્યા બાદ યુવકે તેની માંગમાં સિંદૂર ભર્યું અને પછી પોતે ફાંસી પર લટકી ગયો હશે.
મૃતકોની ઓળખ સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારના કલા કા પુરવા ગામના નિવાસી 22 વર્ષીય સૌરભ સવિતા ઉર્ફે ટોની અને 18 વર્ષીય રાણી ઉર્ફે શાલિની તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને વચ્ચે લગભગ ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. સંબંધમાં બંને પિતરાઈ ભાઈ-બહેન થતા હતા. પરિવારની નારાજગી છતાં બંનેએ લગભગ ત્રણ મહિના પહેલા ઘર છોડીને કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ પછી તેઓ દિલ્હીમાં રહેતા હતા.
લગભગ પાંચ દિવસ પહેલા બંને કાનપુર પાછા ફર્યા હતા અને બર્રા-7 સ્થિત એક હોઝિયરી વેપારીના મકાનના ત્રીજા માળે ભાડાનો રૂમ લઈને રહેવા લાગ્યા હતા. મંગળવારે બપોરે મકાનના બીજા માળે રહેતા એક વૃદ્ધ મહિલા છત પર કપડાં સૂકવવા ગયા હતા. આ દરમિયાન તેમની નજર રૂમના વેન્ટિલેટરથી અંદર પડી. રૂમમાં પંખા સાથે યુવકનો મૃતદેહ લટકતો જોઈને તેઓ ગભરાઈ ગયા અને તરત જ મકાન માલિકને જાણ કરી હતી.
મકાન માલિકે પોલીસને માહિતી આપી. માહિતી મળતાં જપોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફોરેન્સિક ટીમે રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તપાસમાં મહિલાનો મૃતદેહ પ્લાસ્ટિકની ચટાઈ પર પડેલો મળ્યો હતો, જ્યારે યુવકનો મૃતદેહ પંખા સાથે સાડીના સહારે લટકતો હતો.
રાણીની માતા પિંકીએ જણાવ્યું કે ઘટનાના થોડા સમય પહેલા જ તેમની પુત્રી અને જમાઈ સાથે વાતચીત થઈ હતી. વાતચીત દરમિયાન તેમને કોઈ વિવાદનો અંદાજ આવ્યો નહોતો. તેમણે આરોપ લગાવ્યો કે કોર્ટ મેરેજ પછી પણ સૌરભના પરિવારજનો રાણીને સ્વીકારી રહ્યા નહોતા અને બંને પર અલગ થવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.