નવી દિલ્હીઃ ભાજપ સાંસદ કંગના રણૌતે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરનારા પ્રદર્શનકારીઓનને ગટર જનરેશન ગણાવતા હોબાળો સર્જાયો છે. ભાજપના સાંસદ કંગના રણૌતના નિવેદન પર કટાક્ષ કરતા કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે, કંગનાને તેમની પોતાની પાર્ટીના સભ્યો પણ બહુ મહત્વ આપતા નથી કે તેમને ગંભીરતાથી લેતા નથી, તો પછી આપણે શા માટે લેવા જોઈએ ? મને નથી લાગતું કે Gen Z, Gen Alpha કે પછી આજની યુવા પેઢીમાંથી કોઈ પણ તેમને સીરિયસલી લે છે કે તેમની વાતો સાંભળે છે.
તેમણે કહ્યું કે, તેઓ હવે એક નેતા બની ગયા છે. જ્યારે તેમણે હિમાચલ પ્રદેશમાં પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી હતી, ત્યારનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે વિચાર્યું હતું કે આ કામમાં બહુ ઓછી મહેનત કરવી પડશે, પરંતુ પાછળથી તેમને સમજાયું કે સાંસદ હોવાનો અર્થ ખૂબ જ સખત મહેનત કરવાનો છે. આ વાત જ તેમની પોતાની ગંભીરતા વિશે ઘણું બધું કહી જાય છે.
અભિનેત્રી અને સાંસદ કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાંબી પોસ્ટ શેર કરીને આજના યુવાનોની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે લખ્યું કે, સૌથી વધુ આઘાતજનક વર્તન એ યુવાન હિંદુ યુવતીઓનું છે, જેઓ પોતે સ્વતંત્રતા મેળવ્યાં કે કમાયા વિના જ આત્મનિર્ભર કરિયર વિમેનની નકલ કરવા માંગે છે. જે મહિલાઓ વાસ્તવમાં આત્મનિર્ભર છે, તેઓ બોલ્ડ વિચારો રાખે છે, બળવાખોર નિર્ણયો લે છે, અપ્રચલિત કરિયરના વિકલ્પો પસંદ કરે છે અને પોતાના દરેક કામની જવાબદારી જાતે સ્વીકારે છે.
તેમણે કહ્યું કે, આત્મનિર્ભર મહિલાઓએ આ બધું એટલા માટે કરવું પડે છે કારણ કે તેઓ પોતાના દમ પર જીવે છે, પોતાના માતા-પિતા કે પરિવારના ભોગે નહીં. પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત કહેવાતી ભારતીય મહિલાઓની આ એક નવી પેઢી તૈયાર થઈ છે, જેને હું જનરેશન ગટર કહું છું. Gen-Z દ્વારા વાપરવામાં આવી રહેલી ભાષા અત્યંત અસભ્ય છે. તેમણે સવાલ કર્યો કે આ લોકોને કોણે જન્મ આપ્યો છે અને કોણ ઉછેરી રહ્યું છે ? ભારત હંમેશાથી પોતાની સંસ્કૃતિ અને શાલીનતા માટે જાણીતું છે, પરંતુ આવા વર્તનથી દેશની ગરિમાને નુકસાન પહોંચે છે.