ઈરાન-ઈઝરાયલ યુદ્ધઃ ટ્રમ્પે કહ્યું- શરત વગર સરેન્ડર, ઇઝરાયલ પર હુમલા કરતા રહેવાની ઈરાને ધમકી આપી

11:27 AM Jun 18, 2025 | gujaratpost

ઇઝરાયેલની વાયુ સેનાએ પણ કહ્યું છે કે તેમણે તેહરાનમાં ફરીથી ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા

ઈરાનના આયતુલ્લાહ અલી ખામેનાઈએ ઈઝરાયલને ધમકાવતા યુદ્ધની જાહેરાત કરી

તેલઅવીવઃ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ પર ઇરાને હાઇપરસોનિક મિસાઇલોથી હુમલો કરીને ભારે તબાહી મચાવી છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્મ્સે બુધવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલ પરના તાજેતરના હુમલા દરમિયાન હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધી ઇરાનના 585 લોકોના મોત થયા છે અને 1326 લોકો ઘાયલ થયા છે, જ્યારે ઇરાનના હુમલામાં અત્યાર સુધીમાં 24 ઇઝરાયેલીઓના મોત થયા હતા.

આ યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સતત નિવેદનો આવી રહ્યા છે. ટ્રમ્પે ઇરાનને કોઈ શરત વિના શરણાગતિ સ્વીકારવા કહ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટૂથ સોશિયલ પર મોટા, બોલ્ડ અક્ષરોમાં લખ્યું - UNCONDITIONAL SURRENDER.

ટ્રમ્પની ધમકી છતાં ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર ભયાનક મિસાઈલ હુમલા કર્યા હતા. ઈરાને આ વખતે હાઈપરસોનિક મિસાઈલ વડે ઈઝરાયલમાં તબાહી મચાવી હતી. જેના કારણે ઈઝરાયલમાં મૃત્યુઆંક પણ 24 ને પાર થઇ ગયો છે જ્યારે ઈજાગ્રસ્તોનો આંકડો 631ની નજીક છે. ઈઝરાયલને આ હુમલાઓને કારણે મોટું નુકસાન થયું છે. ઈરાને ઈઝરાયલ પર હુમલો કરવા માટે ફતાહ-1 મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.

ઈરાની સમાચાર એજન્સીઓ અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે તેલ અવીવની આસપાસના વિસ્તારોને ખાલી કરવાની ચેતવણી જારી કરી છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સનું કહેવું છે કે ઈરાનની ફતાહ મિસાઈલો ઈઝરાયલના સંરક્ષણ ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી, જેનાથી તેને ઈઝરાયલના હવાઈ ક્ષેત્ર પર સંપૂર્ણ નિયંત્રણ મળ્યું હતું.