મધ્યપ્રદેશઃ રતલામમાં ભ્રષ્ટાચારી અધિકારી સામે સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ GST વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શંકર પરમારની 1.5 લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે. ભોપાલ CBI ની ટીમે આ કાર્યવાહી કરી છે, આ કેસમાં અન્ય એક વ્યક્તિ, સુરેશ મનસુખાનીને પણ આરોપી બનાવાયો છે. એક પેઢી પર કડક કાર્યવાહી ન કરવા આ અધિકારીએ 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, સહાયક કમિશનર છેલ્લા બે મહિનાથી તેમને માનસિક રીતે હેરાન કરી રહ્યાં હતા. તેઓ પેઢીના ઓડિટ અને દસ્તાવેજોમાં ખામીઓ દર્શાવીને તેમના પર દબાણ લાવી રહ્યાં હતા, જ્યારે ઉદ્યોગપતિએ દાવો કર્યો કે તેમના બધા દસ્તાવેજો નિયમો અનુસાર છે. તેમ છંતા તેમને હેરાન કરીને લાંચ માંગવામાં આવી રહી હતી.
સેન્ટ્રલ GST વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શંકર પરમારે લાંચનો પહેલો હપતો લીધો હતો ત્યારે જ સીબીઆઇએ તેમને ઝડપી લીધા હતા.શંકર પરમારે જેવા રૂ. 1.5 લાખ હાથમાં પકડ્યા કે તરત જ CBI ની ટીમે તેમને ત્યાં જ ઝડપી લીધા હતા.
રતલામ ઉપરાંત, જાવરા, તાલ અને અલોટમાં પણ ઘણા વેપારીઓ પર આ જ પ્રકારનું દબાણ કરીને લાખો રૂપિયાના તોડ કરવામાં આવ્યાં હોવાની ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે વેપારીઓની હેરાનગતિને લઇને હવે સરકારે પણ કોઇ કાર્યવાહી કરવી જોઇએ તેવી વેપારીઓની માંગ છે.