અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગત ગુરુવારે એર ઈન્ડિયાનું વિમાન બી જે મેડીકલ કોલેજ પરિસરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 મુસાફરોના નિધન થયા હતા. કુલ મૃત્યુઆંક 270 પર પહોંચ્યો છે. બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં 184 મૃતકના DNA મેચ થયા હોવાની માહિતી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પરથી આપી હતી. જેમાંથી 139ના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય મૃતદેહ સોંપવાની પણ કામગીરી યથાવત રાખવામાં આવી છે.
અત્યાર સુધીમાં 139 લોકોના ડેથ સર્ટિફિકેટ પણ ઈસ્યૂ કરી દેવામાં આવ્યા છે. પ્લેન ક્રેશમાં જે લોકોના મોત નિપજ્યા છે તેમાં યુકેના નાગરિકો પણ હોય UK ગર્વમેન્ટની એક ટીમ મંગળવારે અમદાવાદ આવી પહોંચી હતી. પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 71 લોકો ઘાયલ થયા હતા. જેમાં બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે 30 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જેમાં 21 દર્દી અન્ય હોસ્પિટલમાં અને 9 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ છે.
મંગળવારે સાંજે ડૉ.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે. જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે.