અમદાવાદઃ આમ આદમી પાર્ટીનો જીગ્નેશ મેવાણીને ટેકો આપતાં કહ્યું-IPS અધિકારીના પરિવારના લોકો કેમ રોડ પર નથી આવતા. દારૂ અને ડ્રગ્સના મુદ્દાને ઉઠાવવા બદલ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ધારસભ્ય જીગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું છે. કહ્યું લોકોના પ્રશ્નો માટે કોંગ્રેસને સમર્થન આપીશું. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ વિરુદ્ધ કોંગ્રેસ નેતાએ જોરદાર આંદોલન કર્યું છે.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે, ગૃહમંત્રી નાના પોલીસ કર્મચારીના પરિવારના લોકોને રસ્તા પર ઉતારે છે, પણ અમારે પુછવું છે કે, મેવાણીનો વિરોધ કરવા માટે ગૃહ પ્રધાન કેમ કોઈ IPS અધિકારીના પરિવારના લોકોને રોડ પર ઉતારતા નથી. કોંગ્રેસે ભલે ખેડૂત આંદોલનમાં આમ આદમી પાર્ટીને સમર્થન ના આપ્યું હોય, અમે ભ્રષ્ટાચાર, કૌભાડ, દારૂ અને ડ્રગ્સના વિરોધ બાબતે કોંગ્રેસને સમર્થન આપીશું.
ઈસુદાન ગઢવીએ કહ્યું, SIR ની પ્રક્રિયામાં ગુજરાતના શિક્ષકો ફરજ નિભાવી રહ્યાં છે અને તેમના ખૂબ જ ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ કરવાનું ખૂબ ભારણ છે, જેના પરિણામે 6 BLO એ જીવ ગુમાવ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટી વતી હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આજે જ્યારે ગુજરાતમાં SIR પ્રક્રિયામાં કામ કર્યા શિક્ષકો પર ખૂબ ભારણ છે ત્યારે એક જવાબદાર રાજનૈતિક પક્ષ તરીકે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ અમે BLO ને મદદરૂપ થવા નિર્ણય કર્યો છે. SIR પ્રક્રિયામાં અતિશય ભારણ હેઠળ કામ કરતા BLO ને તમામ રીતે મદદરૂપ થવા આજે અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરીએ છીએ.