ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાયેલી કડી અને વિસાવદર પેટા ચૂંટણી પૈકી વિસાવદર બેઠક પરથી આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થઈ હતી. જે બાદ તેમને વિધાનસભામાં પક્ષના નેતા બનાવવામાં આવી શકે છે તેવી ચર્ચા શરૂ થઈ છે. દરમિયાન આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેઓ ગમે ત્યારે આપમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર આમ આદમી પાર્ટીના ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી સામે મોરચો ખોલી શકે છે. આજે તેમને દંડક પદેથી રાજીનામું આપી દીધું છે અને જનતાને પૂછ્યાં પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.
આ અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી. તે સમયે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં જોવા મળ્યાં નથી. આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી. ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતાં. ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતાં. જેમાં તેમનો પરાજય થયો હતો.