નવી દિલ્હીઃ શુક્રવારે લોકસભામાં મહિલા અનામત બિલ પર મતદાન થયું, જેમાં શાસક પક્ષ બે તૃતીયાંશ બહુમતી મેળવી શક્યો નહીં. વિપક્ષે બિલ વિરુદ્ધ મતદાન કર્યાં બાદ મહિલા અનામત બિલ સંસદમાં પસાર થઈ શક્યું નહીં. આ પછી, આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં, વડાપ્રધાન મોદીએ વિપક્ષો સામે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે 2029 થી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપતા બિલને નકારી કાઢીને વિપક્ષે મોટી ભૂલ કરી છે. દેશની મહિલાઓ તેમને માફ નહીં કરે, વિપક્ષે તેના પરિણામો ભોગવવા પડશે.
કેબિનેટ બેઠક દરમિયાન, વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિપક્ષે પરિણામોનો સામનો કરવો પડશે અને દેશની મહિલાઓને જવાબ આપવો પડશે. તેઓએ દેશની મહિલાઓને નિરાશ કરી છે, આ સંદેશ દરેક ગામો સુધી પહોંચાડવો જોઈએ.
આ બિલ લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયું
બંધારણ (131મો સુધારો) બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાનો ઉદ્દેશ ધરાવે છે. જો કે, તે લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયું. ગુરુવારે શરૂ થયેલી અને શુક્રવારે મધ્યરાત્રિ સુધી ચાલુ રહેલી ગરમાગરમ ચર્ચા પછી, બિલના પક્ષમાં ફક્ત 298 મત મળ્યાં, જ્યારે 230 સાંસદોએ તેનો વિરોધ કર્યો.
પીએમ મોદીએ કહ્યું કે, તમારા અંતરાત્માની વાત સાંભળો
શુક્રવારે બિલ પર મતદાન પહેલાં, પીએમ મોદીએ કહ્યું હતું કે, હું દેશની મહિલા શક્તિ વતી બધા સભ્યોને અપીલ કરીશ.તેમની લાગણીઓને ઠેસ પહોંચે તેવું કંઈ ન કરો. દેશભરની લાખો મહિલાઓની નજર આપણા બધા પર, આપણા ઇરાદાઓ પર, આપણા નિર્ણયો પર છે. કૃપા કરીને નારી શક્તિ વંદન કાયદામાં સુધારાને સમર્થન આપો. હું બધા સાંસદોને વિનંતી કરવા માંગુ છું કે તેઓ પોતાની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓને યાદ રાખીને પોતાના અંતરાત્માની વાત સાંભળે.