Accident: કપરાડાન કુંભઘાટ પર કાળમુખો અકસ્માત, 7 લોકોનાં કરુણ મોત

11:48 AM Feb 21, 2026 | gujaratpost

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલો કુખ્યાત કુંભઘાટ આજે ફરી એકવાર રક્તરંજિત બન્યો હતો. પુરપાટ ઝડપે આવતી એક ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આંબા જંગલ ગામના એક જ પરિવારના કુલ 7 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કુંભઘાટના જોખમી વળાંક પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદના દૃશ્યો અત્યંત ભયાનક હતા

ટક્કર બાદ પરિવારના 5 સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. અન્ય 2 ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેઓએ પણ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં એક મહિલાનું માથું ટ્રકના ટાયર નીચે ચગદાઈ જવાથી છૂંદો થઈ ગયું હતું, જ્યારે રોડ પર લોહી અને માંસના લોચા વિખેરાયેલા જોવા મળ્યા હતા.

અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર કપરાડાના આંબા જંગલ ગામનો રહેવાસી હતો. એકસાથે પરિવારના 7 સભ્યોના મોત થવાના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.