નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સોમવાર સાંજે ભારત પહોંચ્યા હતા. પીએમ મોદીએ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતાઓની તસવીરો સામે આવી છે, જેમાં તેઓ એકબીજાને ઉષ્માભેર મળતા જોઈ શકાય છે. શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન માત્ર બે કલાક માટે ભારત આવ્યાં છે. તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ સોમવાર સાંજે જ રવાના થઈ જશે.
શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથેની તસવીર શેર કરતા પીએમ મોદીએ લખ્યું, "હું મારા ભાઈ, યુએઈના રાષ્ટ્રપતિ, હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનું સ્વાગત કરવા માટે એરપોર્ટ ગયો હતો. તેમની આ મુલાકાત દર્શાવે છે કે તેઓ ભારત-યુએઈની મજબૂત મિત્રતાને કેટલું મહત્વ આપે છે. અમારી વાતચીતની આતુરતા રહેશે." પીએમ મોદીએ માત્ર એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત જ નથી કર્યું, પરંતુ બંને નેતાઓ કારમાં પણ સાથે બેસીને આગળની મીટિંગ માટે રવાના થયા હતા. પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતની જાણકારી આપતા અરબી ભાષામાં પણ પોસ્ટ કરી હતી.
રાષ્ટ્રપતિ બન્યાં બાદ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન ત્રીજી વખત ભારત આવ્યાં છે. તેઓ પીએમ મોદીના વિશેષ આમંત્રણ પર માત્ર બે કલાક માટે ભારતની મુલાકાતે આવ્યાં છે. તેમની આ યાત્રા અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. બંને દેશો વચ્ચે પહેલેથી જ અંદાજે 100 બિલિયન ડોલરનો વેપાર થાય છે. યુએઈ ભારત માટે ક્રૂડ ઓઈલ, એલએનજી (LNG) અને એલપીજી (LPG) નું મુખ્ય સપ્લાયર છે. આ કારણોસર બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચેની મુલાકાતને મહત્વની માનવામાં આવે છે.