બનાસકાંઠાઃ SMCના PI એ.વી પટેલના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. લાખણીના જસરા ગામે અંધવિશ્વાસમાં પાડોશીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પાડોશી ખેડૂતે ભુવાની તાંત્રિક વિધિના અંધવિશ્વાસમાં આવીને સોનાના ઘરેણાં માટે હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે.
લાખણીના જસરા ગામે SMC PI એ. વી. પટેલના પિતા વર્ધાજી અને માતા હોશીબેન પટેલની હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. પોલીસે બે પાડોશીની અટકાયત કરી છે અને ભુવાની શોધખોળ હાથ ધરાઇ છે. બન્ને આરોપી સાળા બનેવી છે. ઘેસીયા સુરેશ શામળાજી – જસરા અને ઠોહ ઉમા ચેલાજી -રામપુરાની અટકાયત કરાઇ છે.
ભુવાએ પાડોશીને કહ્યું હતું કે, તમારા ખેતરમાં સોનું દટાયેલું છે જે શોધવા માટે વિધિ કરવી પડશે એટલે તમે સોનાના ઘરેણાં લઈ આવો જેની લાલચમાં આ હત્યા કરાઇ હતી. પોલીસે રોડ પર રહેલા સીસીટીવી પણ તપાસ માટે લીધા હતા. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી.
શું છે સમગ્ર મામલો ?
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ-ઇન્સ્પેક્ટર અજમલ ચૌધરીનાં વૃદ્ઘ માતા હોશીબેન અને પિતા વરધાજી ચૌધરીની રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. હત્યારાઓએ બંને વૃદ્ધોનાં ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ચહેરા ચીરી નાખ્યાં હતા. માતાના પગ કાપીને કડલાં પણ લૂંટી લીધા હતા.
સવારે અજમલ ચૌધરીના ખેતરમાં કામ કરતો વ્યક્તિ તેમના ઘરે પહોંચ્યો ત્યારે ઘરના આંગણામાં ખાટલામાં બંનેના મૃતદેહો લોહીલુહાણ હાલતમાં મળતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે પાડોશી હત્યારાની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++