ભારત-પાકિસ્તાન મહાજંગ પૂર્વે ઉસ્માન તારિકની બોલિંગ એકશન પર પાક. કેપ્ટન સલમાન આઘાએ શું કહ્યું ?

10:12 AM Feb 15, 2026 | gujaratpost

કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારા T20 વિશ્વકપના મુકાબલા પહેલા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકની બોલિંગ એક્શન ચર્ચાનો વિષય બની છે. આ વિવાદ પર પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આઘાએ સ્પષ્ટ કર્યું છે કે હવે આ મુદ્દાને વિરામ આપવો જોઈએ.

સલમાન આઘાએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ  એ ઉસ્માન તારિકના એક્શનની બે વાર તપાસ કરી છે અને બંને વખતે તેને નિયમો મુજબ સાચું ઠેરવ્યું છે. તેથી બિનજરૂરી વિવાદ ઊભો કરવાનો કોઈ અર્થ નથી. તેમણે ઉમેર્યું કે તારિક કારકિર્દીની શરૂઆતથી જ આવા વિવાદોથી ટેવાયેલો છે, તેથી તે બહારના શોરબકોરથી પ્રભાવિત થતો નથી.

કોલંબોની પ્રેમદાસા પિચ ધીમે-ધીમે સ્પિનરોને મદદરૂપ થાય છે, તેથી બંને ટીમોએ મજબૂત તૈયારી કરી છે. પાકિસ્તાન પાસેઉસ્માન તારિક, મોહમ્મદ નવાઝ, અબરાર અહેમદ અને સૈમ અયૂબ છે. જ્યારે ભારત પાસે  વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવની મજબૂત ત્રિપુટી છે.

 
તારિકની કોણી પૂરી રીતે સીધી થઈ શકતી નથી, જેના કારણે તેની સરખામણી શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન સાથે કરવામાં આવે છે. જોકે, નિષ્ણાતો માને છે કે મુશ્કેલી તેના એક્શનમાં નહીં પણ તેની લયમાં છે.તે ક્રીઝ પર પહોંચતા પહેલા થોડો વિરામ લે છે, જેના કારણે બેટ્સમેનની ટાઈમિંગ બગડી જાય છે. તેની પાસે કેરમ બોલ અને સ્કીડ થતી ડિલિવરીનું પણ શસ્ત્ર છે.

ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી જીત મેળવી છે, પરંતુ સ્પિન સામે બેટ્સમેનો થોડા સંઘર્ષ કરતા દેખાયા છે. અમેરિકા અને નામિબિયાના સ્પિનરોએ પણ ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. નેધરલેન્ડ સામેની પ્રથમ મેચ ગુમાવ્યા બાદ તારિકે અમેરિકા સામે ત્રણ વિકેટ ઝડપીને ફોર્મ સાબિત કર્યું છે.

હવે જોવાનું એ રહેશે કે શું ભારતીય બેટ્સમેનો ઉસ્માન તારિકના આ રહસ્યમયી સ્પિનનો તોડ શોધી શકશે કે પછી તારિક પોતાની જાળમાં ભારતને ફસાવશે.