સુરતથી બીલીમોરા વચ્ચે 15 ઓગસ્ટ, 2027ના રોજ દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન

06:47 PM Jan 01, 2026 | gujaratpost

સુરતઃ દેશની પ્રથમ બુલેટ ટ્રેનને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 15 ઓગસ્ટ, 2027ના રોજ દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. સૌથી પહેલા સુરતથી બીલીમોરા વચ્ચેનો સેક્શન શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ, વાપીથી સુરતનો રૂટ ખુલશે. આ પછી વાપીથી અમદાવાદનો રૂટ શરૂ થશે, ત્યાર બાદ થાણેથી અમદાવાદ અને છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થશે.

બુલેટ ટ્રેન શરુ થતાં માત્ર 2 કલાક અને 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ જઈ શકાશે. બુલેટ ટ્રેનની મુખ્ય લાઇનની ગતિ ક્ષમતા 320 કિ.મી. પ્રતિ કલાક અને લૂપ લાઇનની 80 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. બુલેટ ટ્રેનના ટ્રેકની નજીક કોઈપણ પ્રકારના વાઇબ્રેશનને કન્ટ્રોલ કરવા માટે અનેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં હવા કે અચાનક ભૂકંપની સ્થિતિમાં ટ્રેન સંપૂર્ણ રીતે સ્થિર રહે તે કેટલીક ખાસ પ્રકારની સુવિધા જોડવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને 10,000 કરોડ રૂપિયા ચૂકવશે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય 5,000 કરોડ રૂપિયા ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા લેવામાં આવશે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 

અશ્વિની વૈષ્ણવે એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું કે PM મોદી ટૂંક સમયમાં પ્રથમ સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવશે. લાંબા સમયથી નવી જનરેશનની ટ્રેનોની માગ થઈ રહી હતી. વંદે ભારત ચેર કારે ભારતીય રેલવેમાં એક નવા યુગની શરૂઆત કરી. લોકોને એે ખૂબ પસંદ આવવા લાગી. દેશના ખૂણેખૂણેથી વંદે ભારત ટ્રેનો ચલાવવાની માગ થઈ રહી છે.