સુરતઃ શહેરના સુભાષનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્લાસ્ટિકના દાણાના જાણીતા ઉદ્યોગપતિની પત્ની ખ્યાતિ કેજરીવાલે લગ્નના ટૂંકા ગાળામાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક ખ્યાતિના લગ્ન હજુ બે મહિના પહેલા જ થયા હતા. તેમનો પરિવાર આર્થિક રીતે અત્યંત સદ્ધર છે અને પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. કેજરીવાલ પરિવાર 'હાર્મની યાર્ન્સ' નામની પ્રતિષ્ઠિત કંપની ધરાવે છે. ખ્યાતિના પતિ અભિષેક કેજરીવાલ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.
ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.
હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ આઘાતજનક પગલાં પાછળના કારણો શોધવા તપાસ તેજ કરી છે.