બગદાણા વિવાદમાં હીરા સોલંકીએ ઝંપલાવ્યું, કહ્યું- કોળી સમાજ અન્યાય સહન નહીં કરે - Gujarat Post

07:24 PM Jan 01, 2026 | gujaratpost

વિવાદને પગલે બગદાણા પીઆઇ ડાંગરની બદલી કરી નાખવામાં આવી 

માયાભાઇના પુત્ર જયરાજ આહિર સામે રોષ, તેમને ફોન પર નવનીત બધાલિયાને મળવાની વાત કરીને ચીમકી આપી હતી 

ભાવનગરઃ  બગદાણા ધામના સેવક નવનીત બધાલિયા પર થયેલા જીવલેણ હુમલા બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ તેમની મુલાકાત લીધી હતી.તેમણે પીડિતને આશ્વાસન આપતા કહ્યું કે, સમાજ તમારી સાથે છે, તમને ન્યાય મળશે.

હીરા સોલંકીએ જણાવ્યું કે, આપણાં કોળી સમાજે ઘણું જ સહન કર્યું છે. હવે કોળી સમાજ સાથે અન્યાય બિલકુલ સહન નહીં કરીએ. આ નવનીત એકલો નથી, આજે આખો કોળી સમાજ તેની સાથે છે. હું અહીંયા એટલા માટે જ આવ્યો છું. જેથી ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ના કરી જાય અને હું તેવું કરીને જ જવાનો છું. આપણે આ અન્યાય સામે લડવાનું છે.

લોક કલાકાર માયાભાઈ આહીરે મુંબઈના કાંદીવલીના કાર્યક્રમમાં બગદાણાધામ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયો સામે આવતા નવનીત બધાલિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે, બગદાણા ધામમાં માત્ર ટ્રસ્ટીઓ જ છે, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી.

જે બાદ માયાભાઈ આહીરે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેને બગદાણાના સેવકે વાયરલ કર્યો હતો. બાદમાાં નવનીત બધાલિયાને સમાધાન માટે બોલાવીને અજાણ્યા શખ્સોએ લાકડી-ધોકા વડે તેમને ઢોર માર માર્યો હતો.આ હુમલામાં ઈજાગ્રસ્ત નવનીત બધાલિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ તેમની મુલાકાત લઇને તેમને આશ્વાસન આપ્યું હતુ.