અમદાવાદઃ રાજુ કરપડાએ ગઈકાલે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે સીધો જ ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કર્યો હતો.
રાજુ કરપડાએ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયાને સીધા નિશાને લેતા જણાવ્યું હતું કે, ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની 'B ટીમ' તરીકે કામ કરી રહ્યા છે જેથી AAP મજબૂત ન થાય.જ્યાં સુધી ગોપાલ ઈટાલિયા પક્ષમાં છે, ત્યાં સુધી AAP આગળ નહીં આવે.ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો કે પક્ષ તેમને એક સારો વકીલ પણ ન આપી શક્યો અને તેઓ જેલમાં જ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સામે પક્ષે ગોપાલ ઈટાલિયાએ આ આક્ષેપોને નકારી કાઢતા રાજુ કરપડા પર વળતો હુમલો કર્યો હતો. ઈટાલિયાએ કહ્યું કે કરપડા પર 3 કેસ થયેલા છે, તેથી જેલમાં જવાની બીકે તેઓ અત્યારે ભાજપની સ્ક્રિપ્ટ મુજબ બોલી રહ્યા છે. ઈટાલિયાએ દાવો કર્યો કે કરપડા જેલમાં કયા IPS અધિકારીને મળ્યા અને ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા બંગલે મળ્યા તેની તમામ વિગતો તેમની પાસે છે. ઈટાલિયાએ ઉમેર્યું કે, એક મજબૂત યોદ્ધાએ સાથ છોડ્યો તેનું દુઃખ છે, પણ આજે પ્રેસ કોન્ફરન્સમાં તેમનો ચહેરો જોઈને તેઓ લાચાર લાગતા હતા.
આમ, રાજીનામા બાદ AAPમાં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે, જ્યાં એક તરફ પક્ષ પ્રત્યેની વફાદારી પર સવાલ ઉઠ્યા છે તો બીજી તરફ ભાજપ સાથેની મિલીભગતનો આરોપ લગાવવામાં આવ્યો છે.