ઈરાન યુદ્ધ વચ્ચે જો કોઈ ભૂલ કરી તો જડબાતોડ જવાબ મળશે: રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી

05:46 PM Apr 02, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ કેરળમાં ગુરુવારે આયોજિત સૈનિક સન્માન સંમેલનને સંબોધિત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે દેશમાં ઈંધણને લઈને કોઈ સંકટ નથી. દેશમાં ઓઇલનો પુરવઠો જળવાઈ રહે તે માટે ભારતીય નૌસેનાના જહાજો, હોર્મુઝની ખાડીમાં દેશના ટેન્કરોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ  પૂરી પાડી રહ્યાં છે.

આ સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહે કોઈ દેશનું નામ લીધા વિના કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં આપણો પાડોશી કોઈ પણ દુસાહસ કરી શકે છે. જો તે આવું કરશે, તો ભારતની કાર્યવાહી અભૂતપૂર્વ અને નિર્ણાયક હશે. તેમણે એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી.

નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને પણ વળતી કાર્યવાહી કરી હતી, જેના કારણે મધ્ય-પૂર્વમાં પૂર્ણપણે યુદ્ધ ફાટી નીકળ્યું છે. તેમણે કેરળમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વિપક્ષી દળો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, સંકટની આ ઘડીમાં દેશની સાથે ઊભા રહેવાને બદલે, તેઓ હલકી રાજનીતિ કરવામાં મગ્ન છે.

સંબોધનમાં તેમણે આગળ ઉમેર્યું કે, આજે આપણે બધા મોટા ફેરફારોના સમયગાળામાંથી પસાર થઈ રહ્યાં છીએ. પશ્ચિમ એશિયામાં એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે. કેરળના ઘણા લોકો આ દેશોમાં રહે છે અને કામ કરે છે, પરંતુ આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે જરૂરી પગલાં ભરવામાં અમે સહેજ પણ પાછળ નહીં હટીએ. અમે આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.