પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, તત્કાલિન પોલીસ કમિશનર, કોર્પોરેશન કમિશરના લેવાયા નિવેદન

11:13 AM Jul 04, 2024 | gujaratpost

રૂપિયા 15 કરોડનું 22 કિલો સોનું જપ્ત

કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરાઇ

28 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવી

Rajkot News: રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ તપાસને લઈને મોટા સમાચાર છે. અગ્નિકાંડના આરોપી તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયાને એસીબી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. આ સિવાય રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર અને તત્કાલિન કોર્પોરેશન કમિશનરના નિવેદન લેવામાં આવ્યાં હતા. ત્રણ કલાક સુધી બંનેના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જોકે આ બંનેએ શું નિવેદન આપ્યું તેની વિગત જાણવા મળી નથી.

સાગઠિયાના રિમાન્ડ અંગે સરકારી વકીલે દલીલ કરી હતી કે, સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસેથી મળેલી રકમ ભેગી કરી શકે નહીં. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજુ બાકી છે. સાગઠિયા અને તેના પરિવાર પાસે રહેલી મિલકતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યાં છે તેની તપાસ થવી જરૂરી છે.

સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે 22 કિલો સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે. સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526