- વડોદરાના જુગાર કેસમાં આરોપીને મદદ કરવાનો આક્ષેપ
- વિભાગીય તપાસમાં દોષિત ઠરતા ગૃહ વિભાગની કાર્યવાહી
રાજકોટ: શહેર પોલીસ કંટ્રોલરૂમમાં એસીપી (ACP) તરીકે ફરજ બજાવતા વી.જી. પટેલ (વિનાયક પટેલ) 31 મેના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમની નિવૃત્તિના ઠીક એક દિવસ પહેલાં જ ગૃહ વિભાગે તેમને નોકરીમાંથી ડિસમિસ (બરતરફ) કરવાનો કડક આદેશ જારી કર્યો હતો.
વી.જી. પટેલ જ્યારે વડોદરા એચ ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ પર હતા, ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારનો એક કેસ નોંધાયો હતો. આ કેસમાં તેમણે એક આરોપીને પકડવા ન પડે તે માટે ઘરે ન રહેવાની સલાહ આપીને કાયદાકીય પ્રક્રિયામાંથી બચવામાં મદદ કરી હતી. આ મદદના બદલામાં મોટો આર્થિક વહીવટ થયો હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ હતી.
પોલીસ અધિકારી હોવા છતાં આરોપીને મદદરૂપ થવાના આ ગંભીર આક્ષેપ બાદ તેમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી (વિભાગીય તપાસ) શરૂ કરવામાં આવી હતી. આ તપાસના અંતે એસીપી વી.જી.પટેલ ગુનામાં દોષિત જાહેર થયા હતા. જેથી ગૃહ વિભાગે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી, તેઓ સન્માનભેર નિવૃત્ત થાય તેના 24 કલાક પહેલા જ તેમને હોદ્દા પરથી હકાલપટ્ટી કરવાનો ઓર્ડર પાસ કર્યો હતો.
ખાખીને દાગ લગાડતા આવા અધિકારીઓ સામે ગૃહ વિભાગે લીધેલા આ આકરા પગલાંથી એ સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદાની આડમાં અંગત સ્વાર્થ સાધનારાઓને બક્ષવામાં નહીં આવે. આ મુદ્દો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.