રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ: વડોદરામાં આદિવાસીઓ મુદ્દે RSS- BJP પર કર્યા આકરા પ્રહાર

08:21 PM Mar 23, 2026 | gujaratpost

વડોદરાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધવા તેઓ ખાસ વડોદરા પહોંચ્યાં હતા. એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત બાદ તેમણે દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે સંમેલનને સંબોધિત કર્યું હતું.

બપોરે 3 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચતા જ કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધી જિંદાબાદના નારા સાથે વાતાવરણ ગજવી દીધું હતું. રાહુલ ગાંધીએ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી અધિકારો માટે લડતી સંસ્થાઓ અને સમાજના આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો.

રાહુલે આદિવાસી સમાજને થતા અન્યાય મુદ્દે ભાજપ, મોદી અને સંઘ પર આકરા પ્રહારો કર્યાં હતા. સાથે જ તેમને ટ્રમ્પ અને ઇરાન યુદ્ધને લઇને પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતુ.

રાહુલ ગાંધીએ આદિવાસી સમાજને લઇને કહ્યું કે જો તમે 2000-3000 વર્ષ પહેલાં આવ્યા હોય તો તમામ જમીન આદિવાસીઓની હતી. તે બાબતે કોઈ વિવાદ નથી. તમારો ઇતિહાસ જમીન ગુમાવવાનો છે. ધીમે ધીમે તમને હટાવી દેવામાં આવ્યાં, હવે 21મી સદીમાં RSS-BJP નવો શબ્દ લાવ્યા છે વનવાસી, તેનો મતલબ કે તમે ઓરિજિનલ માલિક નથી. આદિવાસીનો મતલબ આ દેશ તમારો હતો, જળ, જંગલ અને જમીન તમારી માલિકીના હતા. વનવાસીનો મતલબ જળ, જંગલ અને જમીન તમારા નથી. એટલે કે ભાજપ હવે આદિવાસી સમાજ વિરુદ્ધ છે, રાહુલ આ મામલે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી.