નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટમાં લખ્યું, બધા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતની આન, બાન, શાનનું પ્રતીક છે. આ રાષ્ટ્રીય તહેવાર તમારા બધામાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે. વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત બને.
પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, પ્રજાસત્તાક દિવસ આપણી સ્વતંત્રતા, બંધારણ અને લોકશાહી મૂલ્યોનું એક શક્તિશાળી પ્રતીક છે. આ તહેવાર આપણને રાષ્ટ્રના નિર્માણના સંકલ્પ સાથે એકતાપૂર્વક આગળ વધવા માટે નવી ઉર્જા અને પ્રેરણા આપે છે. પરાતન્ત્ર્યભિભૂતસ્ય દેશસ્યભ્યુદયઃ કુતઃ । અતઃ સ્વાતંત્ર્યમાપ્તવ્યમૈક્યં સ્વાતંત્ર્યસાધનમ્.
ભારત આજે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ ખાતે મુખ્ય પ્રજાસત્તાક દિવસની ઉજવણી યોજાઈ. પ્રજાસત્તાક દિવસની પરેડ રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતિક છે, જે ભારતની લશ્કરી શક્તિ, સાંસ્કૃતિક વિવિધતા, રાષ્ટ્રીય એકતા અને ટેકનોલોજીકલ પ્રગતિનું પ્રદર્શન કરે છે.
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મુખ્ય મહેમાન
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી છે. ભારતને 15 ઓગસ્ટ, 1947 ના રોજ બ્રિટિશરો પાસેથી આઝાદી મળી હતી, અને 26 જાન્યુઆરી, 1950 ના રોજ તેને સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. બરાબર 76 વર્ષ પહેલાં, આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
કર્તવ્ય પંથ પર મુખ્ય સમારોહ સવારે 10:30 વાગ્યે પરેડ શરૂ થઇ. જે લગભગ 90 મિનિટ ચાલે છે. પરેડની શરૂઆત પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી.