આ નવરાત્રી નથી....લવરાત્રી છે....સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ ઉભો કર્યો નવો વિવાદ

07:53 PM Oct 05, 2024 | gujaratpost

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વિવાદિત વીડિયો વાયરલ

નવરાત્રિને નવ દિવસનો ફેશન શૉ ગણાવ્યો

માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યાં હોવાનું નિવેદન

અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં નવરાત્રિનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે. આ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વધુ એક વખત વિવાદમાં આવ્યાં છે. સાધુ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતીના પ્રિય તહેવાર નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે. જે નવ દિવસનો ફેશન શૉ બની ગયો છે. માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યાં છે.

નવરાત્રિ અંગે અનુપમ સ્વરૂપ સ્વામીના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે, 'મેં સાંભળ્યું છે કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં કોઈકે એવું પણ લખ્યું કે, સમય ઓછો અપાતો હશે, બેડ બિહેવિયર, ઓછી વાતચીત, વધતી જતી જરૂરિયાત છે. એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે છૂટાછેડા થાય છે. લખનારે કંઈક વિચારીને જ લખ્યું હશે. જે નવરાત્રિ ગુજરાતીઓની ઓળખ છે તે લવરાત્રિ તરીકે ઓળખાય તે કેવી લાચારી.'

ત્યારે સ્વામીનું આ નિવેદન મોટો વિવાદ ઉભું કરનારું બની ગયું છે, આ મામલે લોકોના મિશ્ર પ્રતિસાદ આવી રહ્યાં છે અને આ વિવાદ વધશે તેમ લાગી રહ્યું છે.