+

બેફામ અધિકારીઓ....આ IRS અધિકારી પોતાને ગણે છે GST ના મોદી, વેપારીઓ પર રૌફ જમાવવા કરી રહ્યાં હતા ગતકડાં

કચ્છના કમિશનર સાહેબ બતાવી રહ્યાં છે પોતાની ખુરશીનો પાવર આ IRS અધિકારી પોતાને PM મોદીથી પણ ઉંચા ગણે છે ! ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનની બેઠકમાં વેપારીએ ઠાલવ્યો રોષ, Cgst કમિશનર પી.આનંદકુમાર

અમદાવાદઃ મોદી સરકારના રાજમાં સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ બેફામ બની ગયા છે, અનેક અધિકારીઓ સામે જુદી જુદી ફરિયાદો થઇ રહી છે અને હવે કચ્છના સેન્ટ્રલ જીએસટી કમિશનર પી.આનંદકુમારનો થોડા સમય પહેલાનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી ફરી રહ્યો છે, જેમાં તેઓ બેફામ બનીને પોતાની સરખામણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી રહ્યાં છે.

ગુજરાતમાં કામ કરતા આ IRS અધિકારી પોતાને PM મોદીથી પણ ઉંચા ગણે છે ! વેપારીઓ સાથેની બેઠકમાં કર્યું હતુ નાટક

ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનની બેઠકમાં થયું હતુ નાટક !

નિર્દોષ વેપારીને ગમે તેમ બોલ્યાં હતા કચ્છના CGST કમિશનર

કમિશનર સાહેબ બતાવી રહ્યાં છે પોતાની ખુરશીનો પાવર !

શું તમને મનમાની કરવાની છૂટ આપી દેવામાં આવી છે ? વેપારીઓની અહીં કોઇ ઇજ્જત નથી !

થોડા મહિનાઓ પહેલા ભૂજમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનની બેઠક મળી હતી, જ્યાં પોતાના નિવેદનોને કારણે ચર્ચાસ્પદ બનેલા આઇઆરએસ અધિકારી અને સેન્ટ્રલ જીએસટી કચ્છના કમિશનર પી.આનંદકુમાર ફરીથી ચર્ચામાં આવ્યાં હતા. ભૂજમાં બજેટ 2024 ની હાઇલાઇટ્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં વેપારીઓ અને સીજીએસટીના અધિકારીઓની હાજરી હતી, દરમિયાન એક વેપારીએ કમિશનર પી.આનંદકુમારની બેઠકમાં જ જોરદાર ઝાટકણી કાઢી નાખી હતી, આ વેપારી ઉંમર લાયક હતા. તેમને આ સરકારી બાબુની એટલા માટે ઝાટકણી કાઢી હતી કે કમિશનર પી.આનંદકુમારે અંદાજે 100થી વધુ વેપારીઓને રાહ જોવડાવી હતી, પછી તેઓ પ્રગટ થયા અને પોતાના જ વિભાગના અધિકારીઓ પર ગુસ્સો કરી રહ્યાં હતા અને મૂળ કાર્યક્રમ ભૂલીને અહીં રૌફ દેખાડી રહ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું ઉદાહરણ આપ્યું, પોતાની જાતને સમજી રહ્યાં છે મોદી !

હું પણ મોદી જેવું જ કરવાનું વિચારતો હતો, કહીને પી.આનંદકુમારે પોતાનો વટ પાડવાનો પ્રયાસ કર્યો હતો

ગુસ્સે ભરાયેલા વેપારીની માફી માંગવાની જગ્યાએ પી.આનંદકુમારે વડાપ્રધાન મોદીની વાતો કરવાનું ચાલુ કરી દીધું, લાજવાને બદલે આ મહાશય ગાજવા લાગ્યા અને બોલ્યાં કે જેમ વડાપ્રધાન મોદી પંજાબના ફિરોજપુરમાં રોડ વખતે થોભી થોભીને પછી પાછા ચાલ્યાં ગયા હતા, તેમ હું પણ અહીં આવતા પહેલા જ પાછો જવાનું વિચારી રહ્યો હતો, તેમ છંતા હું આ બેઠકમાં આવ્યો છું, એક રીતે આ કમિશનર વેપારીઓને પોતાના ગુલામ ગણી રહ્યાં હોય તેવું વર્તન કરી રહ્યાં હતા, તેઓ વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપીને વેપારીઓને ધમકાવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

પી.આનંદકુમાર પોતે રાજનેતા નહીં પરંતુ અધિકારી છે તેવું યાદ રાખવું જોઇએ, વેપારીઓ સાથે ધંધાકીય વાત કરવાને બદલે તેઓ મોદીના નામે તેમને ડરાવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું હતુ, પોતે જ પોતાની સરખામણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી હતી. તેમને કદાચ કોઇનો ડર પણ નથી, વેપારીઓ કલાકો સુધી પોતાનો કામ ધંધો છોડીને તેમની રાહ જોઇ રહ્યાં હતા અને આ મહાશય નક્કિ કરેલા સમય કરતા આવ્યાં મોડા, જ્યારે એક વેપારીએ તેમને કહ્યું કે કામ વગરની ચર્ચા છોડીને હવે મૂળ કાર્યક્રમ શરૂ કરો, તો કમિશનર સાહેબ તેમના પર ગુસ્સે થયેલા સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે, વીડિયોમાં તેમના શબ્દો પરથી સ્પષ્ટ છે કે તેઓ વેપારીને ખોટી રીતે દબાવી રહ્યાં છે અને રૌફ જમાવવાનો ખોટી પ્રયાસ કરી રહ્યાં છે.

(વેપારીઓ સાથેની બેઠકનો ફાઇલ ફોટો)

CBIC અને નાણાં મંત્રાલય આવા અધિકારીઓને કેમ સહન કરે છે ?

કેમ થઇ રહી નથી કોઇ યોગ્ય કાર્યવાહી ?

સેન્ટ્રલ જીએસટીના કમિશનરના હોદ્દા પર બેઠલા એક સિનિયર કક્ષાના આઇઆરએસ અધિકારીને આવું વર્તન શોભતું નથી, સરકારને કરોડો રૂપિયાનો જીએસટી ચૂકવનારા વેપારીઓની ઇજ્જત કરવાને બદલે બધાની સામે તેમને પોતાનો રૌફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, જોવું રહ્યું દિલ્હીમાં બેઠેલા તેમના ઉચ્ચ અધિકારીઓ તેમને કંઇ સારી સલાહ આપે છે કે પછી તેઓ પણ વેપારીઓને કોડીના સમજે છે. અમે તમને જણાવી દઇએ કે આ ઘટના બાદ કચ્છના વેપારીઓમાં પણ કમિશનર પી.આનંદકુમાર સામે રોષ વ્યાપી ગયો છે. હાલમાં પણ કચ્છમાં સીજીએસટીના અધિકારીઓની હેરાનગતિ થઇ રહી હોવાના અનેક કિસ્સા છે

પી.આનંદકુમાર સામે અગાઉ તેમના પત્ની બેઠા હતા ધરણાં પર

તેમના પત્નીએ લગાવ્યાં હતા ગંભીર આરોપ

અંદાજે 2 વર્ષ પહેલા પી.આનંદકુમાર સામે તેમના પત્ની સીજીએસટીની ઓફિસ બહાર જ ધરણાં પર બેઠા હતા અને તેમના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યાં હતા, પત્ની તેમની નાની પુત્રી સાથે ન્યાય માટે બેઠા હોય તેવો ડિપાર્ટમેન્ટનો આ પહેલો કિસ્સો હશે, કોઇ આઇઆરએસ અધિકારીનું આવું વર્તન સૌ કોઇને ચોંકાવી રહ્યું છે. જે તે સમયે તેમના પત્નીએ મીડિયાને જણાવ્યું હતું કે મારા પતિ મને 20 વર્ષથી અન્યાય કરે છે, પુત્રીના હાથમાં પોસ્ટર હતુ, જેમાં લખ્યું હતુ સુધરી જાઓ, આદમી બનો...

ત્યારે પી.આનંદકુમારનો હાલનો વાઇરલ વીડિયો જોઇને લાગી રહ્યું છે કે તેઓએ અધિકારી તરીકે કામ કરવા કરતા રાજનીતિમાં જતા રહેવું જોઇએ, મોદીની જેમ રેલીઓ કરવી જોઇએ અને વેપારીઓ-કર્મચારીઓને પોતાની ખુરશીનો રૌફ બતાવવાને બદલે મર્યાદામાં રહેવું જોઇએ, સરકારે તેમને જે જવાબદારી આપી છે તેને નિભાવવાને બદલે આ મહાશય ખોટી રીતે કર્મચારીઓ અને વેપારીઓને પોતાનો પાવર દેખાડી રહ્યાં છે. ત્યારે જોવું રહ્યું કે સીજીએસટીના ઉચ્ચ અધિકારીઓ અને કેન્દ્રીય નાણાં મંત્રાલય આવા અધિકારીઓ પાસે શું જવાબ માંગે છે.

(પત્ની અને પુત્રીના ધરણાં વખતનો ફાઇલ ફોટો)

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter