બિહારના રાજકારણમાં મોટો વળાંક: નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, નવા સીએમ કોણ બનશે ?

06:13 PM Mar 05, 2026 | gujaratpost

  • ભાજપે બિહારમાં 'મહારાષ્ટ્ર મોડેલ' લાગુ કર્યુંઃ તેજસ્વીનો કટાક્ષ
  • બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને અટકળો તેજ

પટના: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે વિધાનસભામાં રાજ્યસભાની બેઠક માટે વિધિવત રીતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. નીતિશ કુમારની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ નીતિન નવીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ કુમારે પણ પોતપોતાના નામાંકન પત્ર દાખલ કર્યા હતા.

નામાંકન પ્રક્રિયા બાદ અમિત શાહે નીતિશ કુમારના લાંબા રાજકીય કાર્યકાળના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, નીતિશ કુમારનો કાર્યકાળ બિહારના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તેમણે રાજ્યને જંગલરાજમાંથી મુક્ત કરાવી વિકાસના પંથે આગળ વધાર્યું છે. ધારાસભ્યથી લઈને કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી સુધીની લાંબી સફરમાં તેમના વ્યક્તિત્વ પર ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી. તેમણે માત્ર ગામડાઓને રસ્તાઓથી જોડ્યા નથી, પરંતુ સમગ્ર રાજ્યની માળખાગત સુવિધામાં સુધારો કર્યો છે.

નોમિનેશન પહેલાં નીતિશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની લાગણી વ્યક્ત કરતા લખ્યું કે, મારી સંસદીય કારકિર્દીની શરૂઆતથી જ મારી ઈચ્છા હતી કે હું બિહાર વિધાનસભાના બંને ગૃહો અને સંસદના બંને ગૃહોનો સભ્ય બનું. આ ઈચ્છાને અનુરૂપ હું રાજ્યસભામાં જઈ રહ્યો છું અને બિહારની નવી સરકારને મારું સંપૂર્ણ સમર્થન આપીશ.

બીજી તરફ, વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે આ ઘટનાક્રમ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપે બિહારમાં મહારાષ્ટ્ર મોડેલ લાગુ કર્યું છે. ભાજપે નીતિશ કુમાર પર એટલો માનસિક અત્યાચાર ગુજાર્યો છે કે તેમને મુખ્યમંત્રી પદેથી ખસી જવાની ફરજ પડી છે. ભાજપ પોતાના સાથી પક્ષોનો નાશ કરવામાં માને છે અને તેમણે નીતિશ કુમારને હાઈજેક કરી લીધા છે.

નીતિશ કુમારે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેડીયુના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થયા હતા. આ સંજોગોમાં બિહારની સત્તાને લઈને નવા સમીકરણો રચાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ રાજકીય પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, દિલ્હીમાં આ મુલાકાતના અનેક અર્થો કાઢવામાં આવી રહ્યા છે, ખાસ કરીને બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.