અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ

12:19 PM Jan 13, 2026 | gujaratpost

મુંબઈઃ મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાની અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં શનિવારે વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણીએ રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચાડી દીધું હતું. સત્તા સંતુલન, વ્હિપ, કાયદેસરતા અને રસ્તાથી લઈને સદન સુધીના હોબાળાએ આ ચૂંટણીને એક મોટી રાજકીય ઘટના બનાવી દીધી છે.

ચૂંટણી પહેલાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)ના જૂથ નેતા અભિજીત કરંજુલેએ ચાર કોર્પોરેટરોને કડક વ્હિપ જારી કર્યો હતો. જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો કોઈ કોર્પોરેટર પાર્ટી લાઇન વિરુદ્ધ જઈને ભાજપના ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરશે, તો તેનું સભ્યપદ રદ થઈ શકે છે.

આમ છતાં, શિવસેના (શિંદે જૂથ) એ NCPના આ જ ચાર કોર્પોરેટરોના સમર્થનથી બહુમતીનો આંકડો પાર કરી લીધો અને સદાશિવ ઉર્ફે 'સદા મામા' પાટીલ અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા હતા.

ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી પ્રક્રિયાની કાયદેસરતા પર સવાલો ઉઠાવ્યાં છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે સમગ્ર પ્રક્રિયા નિયમોની વિરુદ્ધ થઈ છે અને તેઓ આ મામલાને અદાલતમાં પડકારશે. હકીકતમાં, જે ચાર NCP કોર્પોરેટરોએ શિંદે જૂથને સાથ આપ્યો, તેઓ પહેલા 'અંબરનાથ વિકાસ અઘાડીનો હિસ્સો હતા, જે જિલ્લા કલેક્ટર કચેરીમાં સત્તાવાર રીતે નોંધાયેલી હતી.

ચૂંટણી દરમિયાન કાઉન્સિલ હોલમાં ભારે હંગામો થયો હતો. સદાશિવ પાટીલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. એક મહિલા દ્વારા ચંપલ ઉતારવાની ઘટના બાદ વાતાવરણ વધુ તંગ બન્યું હતું. ભાજપ અને શિવસેનાના કાર્યકરો આમને-સામને આવી જતાં પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.

જૂથ નેતા અભિજીત કરંજુલેએ સ્પષ્ટ કર્યું છે કે વ્હિપના ઉલ્લંઘન બદલ ચારેય કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ચૂંટાયેલા સભ્યો જ મતદાન કરી શકશે અને નામાંકિત સભ્યોને પ્રવેશ આપવામાં આવશે નહીં