રાજુ સોલંકીનો પડકાર, જયરાજસિંહમાં હિંમત હોય તો અઠવાડિયું ગોંડલમાં બોડીગાર્ડ વગર એકલા નીકળો

10:03 PM Jun 12, 2024 | gujaratpost

જૂનાગઢમાં બનેલી ઘટના આકસ્મિક હતી: જયરાજ સિંહ

જૂનાગઢઃ અનુસૂચિત જાતિના આગેવાનના પુત્રનું ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરી માર મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યાં છે. જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી કરીને ગણેશ સહિત તેના સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે. આજે જૂનાગઢથી ગોંડલ સુધી અનુસૂચિત જાતિની પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં અનુસૂચિત જાતિના આગેવાન રાજુ સોલંકી સહિતના લોકો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા હતા.

બાઇક રેલી ગોંડલ પહોંચ્યાં બાદ પ્રતિકાર મહાસમેલન યોજાયું હતું. સંમેલનમાં રાજુ સોંલકીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે જયરાજસિંહમાં હિંમત હોઈ તો એક અઠવાડિયું ગોંડલમાં તેમના બોડીગાર્ડ વગર એકલા ફરજો, તો હું સમાધાન કરવા તૈયાર છું. એક રીતે તેમને દબંગ જયરાજસિંહને પડકાર ફેંક્યો છે. સંમેલનમાં માંગ કરાઇ છે કે ગણેશ જાડેજા દ્વારા રાજુભાઇના પુત્રનું અપહરણ કર્યુ તેમાં જયરાજસિંહ પણ સામેલ છે તેમની સામે પણ ગુનો દાખલ થવો જોઇએ, આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી પણ માંગ કરાઇ છે.

જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્રને માર મારવાના કેસમાં ગણેશ જાડેજાની ધરપકડ બાદ જયરાજસિંહનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું આ ઘટના આકસ્મિક હતી, ન્યાય તંત્ર પર મને સંપૂર્ણ ભરોસો છે. હું સામેના પરિવારને નથી ઓળખતો, સ્વંયભૂ ગોંડલ બંધ બદલ જનતાનો આભાર. ગોંડલના 80 જેટલા ગામોએ જયરાજસિંહના સમર્થનમાં બંધ પાડ્યું હતુ. આ કેસમાં હવે બંને પક્ષો આમને સામને આવી ગયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526