જૂનાગઢ મનપાના બાયોલોજિસ્ટ એસીબીની જાળમાં: આવક કરતાં 62.8 ટકા વધુ મિલકતો મળતા ગુનો દાખલ

02:39 PM Dec 31, 2025 | gujaratpost

જૂનાગઢ: મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મનપાની મેલેરિયા શાખામાં બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી હરસુખ ફુલાભાઈ રાદડિયા વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

12 વર્ષની આવકની તપાસમાં ઘટસ્ફોટ જૂનાગઢ એસીબીના પી.આઈ. જે.બી. કરમુર અને તેમની ટીમ દ્વારા અધિકારી રાદડિયાની વર્ષ 2009 થી 2021 સુધીની ફરજ દરમિયાનની આવક અને ખર્ચની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, અધિકારીએ પોતાની કાયદેસરની આવક કરતા 62.8 ટકા વધુ સંપત્તિ વસાવી છે.

હોદ્દાનો દુરુપયોગ કરી વસાવી કરોડોની મિલકત એસીબીના રિપોર્ટ મુજબ, હરસુખ રાદડિયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર દ્વારા આ મિલકતો મેળવી હોવાનું સાબિત થતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકારી બાબુ દ્વારા આટલા મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકત વસાવવાના ઘટસ્ફોટથી મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

હાલમાં એસીબી દ્વારા આ મિલકતો ક્યાં અને કયા સ્વરૂપે વસાવવામાં આવી છે તેની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે એસીબી દ્વારા દર સપ્તાહે સરેરાશ બે થી ત્રણ લાંચિયા લોકોને ઝપેટમાં લેવામાં આવે છે તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા.