વિદેશ સચિવે ભારતમાં ઈરાનના દૂતાવાસની મુલાકાત લીધી
નવી દિલ્હીઃ ભારત સરકાર વતી વિદેશ સચિવે નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસની મુલાકાત લઈને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખમેનેઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે દૂતાવાસમાં રાખવામાં આવેલી શોક પુસ્તિકામાં હસ્તાક્ષર કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. વિદેશ સચિવે ખામેનેઈના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા ઈરાન સરકાર અને ત્યાંના લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. ભારતે આ મુશ્કેલ સમયમાં ઈરાન સાથે એકતા અને સહાનુભૂતિ દર્શાવી છે.
આ સાથે વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ ઈરાનના રાજદ્વારી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી ભારત તરફથી શોક સંદેશ પાઠવ્યો હતો. તેમણે ખામેનેઈના નિધન પર ઊંડી સંવેદના વ્યક્ત કરતા ઈરાન સરકાર અને ત્યાંના લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. ભારત લાંબા સમયથી ઈરાન સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો ધરાવે છે, તેથી આ ઘટના બાદ ભારતની પ્રતિક્રિયાને પ્રાદેશિક મુત્સદ્દીગીરીની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ યુદ્ઘ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોઈપણ સમસ્યાનું સમાધાન માત્ર સૈન્ય સંઘર્ષ દ્વારા લાવી શકાતું નથી. વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત સંવાદ અને મુત્સદ્દીગીરીના માર્ગને જ કાયમી ઉકેલ માને છે. તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં વધી રહેલો તણાવ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે અને વહેલી તકે સંઘર્ષનો અંત આવવો જોઈએ.
ભારતે આ સંકટ વચ્ચે સંતુલિત અને સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. ભારત એક તરફ ઈરાન સાથેના પોતાના પરંપરાગત સંબંધો જાળવી રાખવા માંગે છે, બીજી તરફ વૈશ્વિક શાંતિ અને સ્થિરતાની પણ વાત કરી રહ્યું છે. નોંધનિય છે કે ઇઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત ઓપરેશન કરીને ખામેનેઇની હત્યા કરી નાખી હતી.