Gujarat Post Fact Check News: ભારતીય રેલ્વેને ભારતની લાઈફલાઈન માનવામાં આવે છે, જેના દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ આજકાલ સામાન્ય બાબત છે. દરમિયાન સોશિયલ મીડિયા પર આવા સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યાંં છે કે જો કોઈ અન્યની ટ્રેન ટિકિટ IRCTCના વ્યક્તિગત ખાતા દ્વારા બુક કરવામાં આવશે, તો કોઈને જેલ જવું પડી શકે છે અને મુસાફરને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર આવા સમાચાર ફરતા થયા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તમે તમારા પર્સનલ એકાઉન્ટમાંથી કોઈ અન્યની ટ્રેન ટિકિટ બુક કરાવો છો તો તમને જેલની સજા પણ થઈ શકે છે. શું આ ખરેખર સાચું છે ?
IRCTC સાઇટ પરથી ટિકિટ બુકિંગ રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર છે. આ નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ પોતાના પર્સનલ યુઝર આઈડીથી મિત્રો, પરિવાર કે સંબંધીઓ માટે ટિકિટ બુક કરાવી શકે છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર ફરતા સમાચારો કે જો તમે તમારા મિત્રો માટે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો તો તમે જેલમાં જઈ શકો છો તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે.
IRCTCએ પોતે એક નોટ જારી કરીને આવી અફવાઓને નકારી કાઢી છે. IRCTC દ્વારા જારી કરવામાં આવેલી નોટમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ યુઝર જેનું એકાઉન્ટ આધાર સાથે લિંક છે, તે 24 ટિકિટ બુક કરાવી શકે છે. જો આધાર લિંક ન હોય, તો પણ તે દર મહિને 12 ટિકિટ બુક કરી શકે છે, જો કે, રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિ દ્વારા તેના અંગત ખાતામાંથી લીધેલી ટ્રેનની ટિકિટ વ્યવસાયિક રીતે વેચી શકાતી નથી. રેલવે અધિનિયમ, 1989ની કલમ 143 મુજબ, વ્યક્તિગત ખાતામાંથી બુક કરેલી ટિકિટ વેચી શકાતી નથી, આ માટે કડક સજાની જોગવાઈ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526