ગાંધીનગર: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે AAP દ્વારા ટિકિટના નામે યુવાનો પાસેથી નાણાં પડાવવા અને મસ્જિદ-મઝારોના મુદ્દે તુષ્ટિકરણની રાજનીતિ કરવા બાબતે આકરા શબ્દોમાં ટીકા કરી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ દ્વારા તેમના નેતાઓ વિરુદ્ધ અનેક અરજીઓ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, ક્યાંક 3 લાખ, ક્યાંક 5 લાખ તો ક્યાંક 15 લાખ રૂપિયા ટિકિટના નામે લેવામાં આવ્યાં છે. ગુજરાતના જે યુવાનો સેવા કરવા માંગતા હતા, તેમની વર્ષોની બચત આપના નેતાઓએ ઉઘરાવી લીધી છે. આ મામલે તપાસ કરવાની ખાતરી આપતા તેમણે ઉમેર્યું કે, ઇન્ચાર્જ અને પ્રદેશ નેતાઓ વચ્ચે નાણાંની લેતીદેતીના ગંભીર આરોપો લાગ્યા છે.
સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આપના ઉમેદવારો જાહેરમાં મુસ્લિમ સમાજને રાજ્યના નિયમો તોડવા માટે ભડકાવી રહ્યાં છે. તેમણે આક્ષેપ કર્યો કે, રસ્તાઓ પર બનેલી મસ્જિદો અને મઝારોનું રક્ષણ કરવાની અને ગમે ત્યાં નવી મઝારો બનાવવા માટે મદદ કરવાની વાતો એમના મેનિફેસ્ટોમાં છે. રસ્તાઓ પર નમાજ પઢવા માટેની વ્યવસ્થા કરી આપવાના વચનો આપી તેઓ ગુજરાતમાં ગંદી રાજનીતિ રમી રહ્યા છે, જે અત્યંત શરમજનક છે.
जब तक भाजपा का एक-एक कार्यकर्ता खड़ा है, तब तक इस दिल्ली गैंग की कोई भी साजिश गुजरात में सफल नहीं होने दी जाएगी।
— Harsh Sanghavi (@sanghaviharsh) April 25, 2026
गुजरात कानून से चलता है, किसी गैंग के एजेंडे से नहीं! pic.twitter.com/f46wNM42Pe
હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ગુજરાતના નાગરિકોની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ છે. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, આવા મુંગેરીલાલના હસીન સપના ક્યારેય સાકાર થવાના નથી. જનતાની સુરક્ષાની જે જવાબદારી અમને મળી છે, તે અમે મજબૂતાઈથી નિભાવતા રહીશું.