નવી દિલ્હીઃ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલી 30 દિવસની છૂટની જાહેરાત બાદ વિપક્ષ કોંગ્રેસ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. આ અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત રાષ્ટ્રીય હિતમાં જ્યાંથી ઈચ્છશે ત્યાંથી તેલ ખરીદશે. સરકારે જણાવ્યું કે ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ યથાવત છે, આવી સ્થિતિમાં ભારત સૌથી શ્રેષ્ઠ કિંમતો ઓફર કરનારા કોઈપણ દેશ પાસેથી કાચું તેલ ખરીદવાનું ચાલુ રાખશે.
કેન્દ્ર સરકારે કહ્યું, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર વધતા તણાવ છતાં ભારતનો ઉર્જા પુરવઠો સુરક્ષિત અને સ્થિર છે. ભારતે તેના કાચા તેલના સ્ત્રોતો 27 થી વધારીને 40 દેશો સુધી વૈવિધ્યસભર કર્યા છે, જેનાથી પુરવઠાના અનેક વૈકલ્પિક માર્ગો સુનિશ્ચિત થયા છે. રાષ્ટ્રીય હિતમાં ભારત ત્યાંથી જ તેલ ખરીદે છે જ્યાં સૌથી સ્પર્ધાત્મક અને સસ્તા દરો ઉપલબ્ધ હોય. અદ્યતન રિફાઇનરી ક્ષમતાને કારણે વિવિધ ગ્રેડના કાચા તેલને પ્રોસેસ કરવું શક્ય છે, જેનાથી પુરવઠો અવિરત જળવાઈ રહે છે.
ભારતે શનિવારે વાતની પણ પુષ્ટિ કરી છે કે તે અમેરિકા દ્વારા આપવામાં આવેલી કામચલાઉ છૂટ બાદ પણ રશિયા પાસેથી તેલની આયાત ચાલુ રાખશે. આ છૂટ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આપવામાં આવી હતી. કેન્દ્રએ કહ્યું છે કે નવી દિલ્હીને આવી ખરીદી માટે કોઈ પણ દેશની મંજૂરી લેવાની જરૂર નથી.
સરકારે જણાવ્યું, ભારત રશિયન તેલ ખરીદવા માટે ક્યારેય કોઈ દેશની પરવાનગી પર નિર્ભર નથી રહ્યું. ભારત ફેબ્રુઆરી 2026 માં પણ રશિયન તેલની આયાત ચાલુ રાખશે અને રશિયા ભારતનો સૌથી મોટો કાચો તેલ સપ્લાયર બની રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતે અમેરિકા અને યુરોપિયન યુનિયનના વિરોધ છતાં રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. રાહત દરો અને રિફાઇનરીની માંગને કારણે 2022 પછી આયાતમાં મોટો વધારો થયો છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી જંગને કારણે ગ્લોબલ એનર્જી ફ્લો અને શિપિંગ રૂટ પ્રભાવિત થયા છે, જેનાથી તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. અમેરિકાએ ગુરુવારે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં કામચલાઉ ઢીલ આપી હતી આ અંગે કેન્દ્ર સરકારે કહ્યું, રશિયા સાથેનો વેપાર સતત ચાલુ રહ્યો છે. આ છૂટ દ્વારા રશિયા સાથેના અમારા વેપારને અવગણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત વિશ્વના રિફાઇન્ડ ઉત્પાદનોનું નિકાસકાર છે અને આ સ્થિતિ તેમની ઉર્જા સુરક્ષાને નબળી નહીં, પણ મજબૂત બનાવે છે.