નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG ના પેનિક બુકિંગ (ગભરાહટમાં આવીને કરાતું એડવાન્સ બુકિંગ) ને કારણે ચિંતા ઊભી થઈ છે, પરંતુ વાસ્તવમાં કોઈ અછત નથી. સરકારે ખાતરી આપી છે કે દેશમાં CNG, PNG, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.
સુજાતા શર્માએ દેશમાં ગેસની ઉપલબ્ધતા અંગેનો અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રોજિંદા 50-55 લાખ સિલિન્ડરનું બુકિંગ થતું હતું, જે છેલ્લા કેટલાક દિવસોમાં વધીને 75-76 લાખ સુધી પહોંચી ગયું છે. આ વધારો માત્ર લોકોમાં ફેલાયેલા ડરને કારણે છે.
5 માર્ચની સરખામણીએ દેશમાં LPGનું ઉત્પાદન 40 ટકા વધારી દેવામાં આવ્યું છે. હોસ્પિટલો અને હોસ્ટેલોમાં ગેસ સપ્લાયને અત્યારે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સરકારે રાજ્યોને વિતરણ માટે 4.8 કરોડ લિટર કેરોસીન પણ જાહેર કર્યું છે અને હોટલ-રેસ્ટોરન્ટ્સ માટે કોલસાની વ્યવસ્થા કરવા કોલ ઈન્ડિયા ને સૂચના આપી છે.
સરકારે ઇંધણના અન્ય સ્ત્રોતો અંગે પણ મહત્વની સ્પષ્ટતા કરી છે. જે મુજબ દેશમાં તેલની કોઈ અછત નથી. તમામ પેટ્રોલ પંપો પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સીએનજીના સપ્લાયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી. તેમજ ઘરોમાં વપરાતા પીએનજી (PNG) ગ્રાહકોને પણ સતત ગેસ મળતો રહેશે. સરકાર લોકોને LPG થી PNG તરફ વળવા પ્રોત્સાહિત કરી રહી છે. હાલ દેશમાં 1.5 કરોડ PNG ગ્રાહકો છે અને અન્ય 60 લાખ પરિવારો સરળતાથી આ કનેક્શન મેળવી શકે છે.