ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે, મેવાણીએ કહી આ વાત- Gujarat Post

11:27 AM Jun 19, 2024 | gujaratpost

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાનસહાયકની યોજના અમલમાં મૂકી છે. ટેટ-ટાટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મળવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂંક બાદ પણ તેઓ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાનસહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે અને તેમને કાયમી નોકરી આપવાની માંગ થઇ રહી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં છે. 18મી જૂન TET-TATના પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલન શરૂઆત કરી હતી. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી, ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયત કરાઇ હતી.

ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારો લાંબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યાં છે. પરતું રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ટેટ-ટાટ પાસ થયેલા હજારો ઉમેદવારો સાથે વડગામના કોંગ્રેસના
ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગાંધીનગર ખાતે પહોંચ્યાં હતા. જો કે, જિગ્નેશ મેવાણી સહિત આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.  

મેવાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખાલી પડેલા હોદ્દા પર તો ભરતી કરતી નથી. ટેટ-ટાટના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યાં છે. 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે 90 હજાર ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપો. ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. પરંતુ સરકાર તેની સાથે ચર્ચા કરવા માગતી નથી. જો સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526