ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સંસ્થા કે વિક્રેતા પાસેથી જ ખરીદવી
વિક્રેતા પાસેથી તમામ જરૂરી વિગતો દર્શાવતું સહી વાળું બીલ લેવું
અનઅધિકૃત રીતે બિયારણ, ખાતર કે જંતુનાશકનું વેચણ કરતા વિક્રેતાઓ અંગે સત્વરે સંબંધિત ખેતીવાડી અધિકારીને જાણ કરવી
અમદાવાદઃ ચોમાસાની ઋતુ દરમિયાન ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણ, સારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાઈસન્સ, પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇ પણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.
બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદી કરેલા ઇનપુટનું નામ, લોટ નંબર વગેરેની વિગતો દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થઇ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ.
પાકને નિંદામણ મુક્ત રાખવો જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય. અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો કોઇ પણ ખેડૂતના ધ્યાનમાં આવે તો તાત્કાલિક ધોરણે સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને જાણ કરવા, ખેતી નિયામક કચેરી દ્વારા આવી ભલામણ કરવામાં આવી છે. નોંધનિય છે કે ઘણી વખત ખેડૂતોનો પાક ખરાબ બિયારણને કારણે નિષ્ફળ જાય છે અને મોટું નુકસાન થાય છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/